મુલાયમ સિંહ યાદવની તબિયતમાં સુધારો, ડોક્ટરે વેન્ટિલેટર સપોર્ટ હટાવ્યો
મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ, વહુ ડિમ્પલ યાદવ અને ભાઈ શિવપાલ સિંહ યાદવ રવિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના કેટલાક કાર્યકરો પણ તેમની હાલત જાણવા હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા,
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં (Medanta Hospital) દાખલ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુલાયમ સિંહ યાદવની તબિયતમાં ઘણો સુધારો થયો છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી ઉતારી દેવામાં આવ્યા છે. સોમવારે બપોરે, હોસ્પિટલ પ્રશાસને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્યને લઈને એક હેલ્થ બુલેટિન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મુલાયમ સિંહને ક્રિટિકલ કેર યુનિટ (સીસીયુ)માં દાખલ કરવામાં આવ્યા છે અને ડૉક્ટરોની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. જો કે હવે મુલાયમની તબિયતમાં સુધારાના સમાચાર રાહતરૂપ છે.
જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવના પુત્ર અખિલેશ યાદવ, વહુ ડિમ્પલ યાદવ અને ભાઈ શિવપાલ સિંહ યાદવ રવિવારે હોસ્પિટલ પહોંચ્યા હતા. સમાજવાદી પાર્ટીના કેટલાક કાર્યકરો પણ તેમની હાલત જાણવા હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યા હતા, પરંતુ તેમને હોસ્પિટલમાં ન આવવાની સલાહ આપવામાં આવી હતી. એસપીએ રવિવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘આદરણીય નેતા જી આઈસીયુમાં દાખલ છે, તેમની સ્થિતિ સ્થિર છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને દવાખાને ન આવો. નેતાજીના સ્વાસ્થ્ય વિશે તમને સમયાંતરે માહિતી આપવામાં આવશે.
PM મોદીએ અખિલેશને ફોન કરીને મુલાયમ સિંહની તબિયત વિશે પૂછ્યુ
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવ સાથે વાત કરી અને તેમના પિતાના ખબરઅંતર પૂછ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ અખિલેશ યાદવને આશ્વાસન આપ્યું હતું કે તેઓ તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. નોંધનીય છે કે રવિવારે સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત બગડતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં કેન્સર રોગ નિષ્ણાંત ડૉ. નીતિન સૂદ અને ડૉ. સુશીલ કટારિયાની દેખરેખ હેઠળ મુલાયમ સિંહ યાદવની સારવાર કરવામાં આવી રહી છે.
મુલાયમના સ્વાસ્થ્યને લઈને થઈ રહ્યા છે પૂજા-પાઠ
તે જ સમયે, સોમવારે સવારથી લખનૌમાં વિક્રમાદિત્ય માર્ગ પર સ્થિત સમાજવાદી પાર્ટીના કાર્યાલયની પાસે હનુમાન મંદિરમાં મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય માટે ભજન-કીર્તન અને પ્રાર્થના થઈ રહી છે. પાર્ટી કાર્યકર્તાઓ મુલાયમ સિંહ યાદવના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વારાણસીમાં પણ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ તેમના ઝડપથી સાજા થવા માટે જગ્યાએ જગ્યાએ પૂજા કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા મનોજ રાયે કહ્યું કે અમે માતા રાણીને નેતાજીના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ.