Maharashtra Political Crisis: શિવસેનાના નેતા સંજય રાઉતને EDની નોટિસ, જમીન કૌભાંડમાં આવતીકાલે થશે પૂછપરછ
એક હજાર કરોડથી વધુના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં તાજેતરમાં સંજય રાઉતની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હતી. તેમાં અલીબાગ, દાદર અને મુંબઈમાં એક-એક ફ્લેટ સામેલ હતો.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેનાના નેતા સંજય રાઉતને (Sanjay Raut) નોટિસ પાઠવી છે. ED આવતીકાલે પાત્રા ચાલ જમીન કૌભાંડ અંગે તેમની પૂછપરછ કરશે. TV9 ભારતવર્ષ સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે હજુ સુધી મને EDની નોટિસ મળી નથી. જો સાંજ સુધીમાં મળશે તો સમય લંબાવવા માટે કહીશ, કારણ કે આવતીકાલે મારો પૂર્વ આયોજિત કાર્યક્રમ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગાઉ શિવસેનાના નેતાનો અલીબાગમાં એક પ્લોટ અને દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો. રાઉત ઉપરાંત EDએ તેની પત્નીની પણ પૂછપરછ કરી છે.
શિવસેનાના નિયંત્રણને લઈને ઉદ્ધવ ઠાકરે અને બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા ઝઘડા વચ્ચે, પાર્ટીના નેતા સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાની સદસ્યતા છોડી દેવા અને નવેસરથી ચૂંટણીનો સામનો કરવા પડકાર ફેંક્યો. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે લોકો પાછા આવવા માંગે છે તેમના માટે પાર્ટીના દરવાજા ખુલ્લા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર વર્તમાન સંકટમાંથી બહાર આવશે.
સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને ખુલ્લો પડકાર આપ્યો
શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું છે અને તેઓ હાલમાં ગુવાહાટીમાં છે. તેમના બળવાના કારણે શિવસેના પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર મુશ્કેલીમાં છે. રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, બળવાખોરોને મારો ખુલ્લો પડકાર છે કે તેઓ રાજીનામું આપે અને તેમના મતદારો પાસેથી નવો જનાદેશ માંગે. ભૂતકાળમાં છગન ભુજબળ, નારાયણ રાણે અને તેમના સમર્થકોએ અન્ય પક્ષોમાં જોડાવા માટે શિવસેનાના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. મધ્યપ્રદેશમાં કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ પણ માર્ચ 2020 માં કોંગ્રેસના ધારાસભ્યો તરીકે રાજીનામું આપ્યું હતું.
મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર મંત્રી એકનાથ શિંદેના જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં શિંદે ઉપરાંત અન્ય 15 બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા મોકલવામાં આવેલી ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની નોટિસને પડકારવામાં આવી છે. અરજીમાં શિંદે વતી આ કાર્યવાહીને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવીને રોકવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ આ અરજીની સુનાવણી કરશે.