Lakhimpur Violence: હિંસામાં માર્યા ગયેલા 4 ખેડૂતો સહિત 8 લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, ઈજા અને હેમરેજને કારણે મૃત્યુ થયું
Lakhimpur Violence: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે ખેડૂતો વાહન નીચે કચડાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ખેડૂતોના શરીર પર ઉંડા ઘા છે. ભાજપના કાર્યકર, ડ્રાઈવર અને પત્રકારના શરીર પર ઈજાના નિશાન મળ્યા છે.
યુપીના લખીમપુરમાં રવિવારે ખેડૂતો પર કાર ઘુસી ગયા બાદ ફાટી નીકળેલી હિંસામાં (Lakhimpur Violence) કુલ 8 લોકોના મોત થયા છે, જેમાં એક સ્થાનિક પત્રકારનો પણ સમાવેશ થાય છે. માર્યા ગયેલાઓમાં 4 ખેડૂતો, 2 ભાજપના કાર્યકરો, 1 અજય મિશ્રાનો ડ્રાઈવર અને એક સ્થાનિક પત્રકારનો સમાવેશ થાય છે.
આ હિંસામાં માર્યા ગયેલા 8 લોકોનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ મુજબ મોટાભાગના મોત ઈજા, આઘાત અથવા હેમરેજને કારણે થયા છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી લાગવાનો કોઈ ઉલ્લેખ નથી.
જાણો મોતનું કારણ?
4 ખેડૂતો:
1. લવપ્રીત સિંહ (ખેડૂત) મૃત્યુનું કારણ- ઢસડાવાથી મૃત્યુ, શરીર પર ઈજાના નિશાન, આઘાત અને હેમરેજ.
2. ગુરવિંદર સિંહ (ખેડૂત) મૃત્યુનું કારણ – બે ઘા અને ઢસડાવાના નિશાન મળ્યા. ધારદાર કે તીક્ષ્ણ વસ્તુ/પદાર્થને કારણે ઇજા. આઘાત અને હેમરેજ.
3. દલજીત સિંહ (ખેડૂત) મૃત્યુનું કારણ- શરીર પર ઘણી જગ્યાએ ઢસડાવાના નિશાન, કાર નીચે આવવાને કારણે થયા. આ મૃત્યુનું કારણ બન્યું.
4. છત્ર સિંહ (ખેડૂત) મૃત્યુનું કારણ- મૃત્યુ પહેલા આઘાત, હેમરેજ અને કોમા. ઢસડાવાના નિશાન પણ મળી આવ્યા હતા.
હિંસામાં અન્ય 4 લોકો માર્યા ગયા:
5. શુભમ મિશ્રા (ભાજપ નેતા) મૃત્યુનું કારણ- લાકડીઓથી માર મારવાના કારણે શરીર પર એક ડઝનથી વધુ જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા હતા.
6. હરિ ઓમ મિશ્રા (અજય મિશ્રાના ડ્રાઈવર) મૃત્યુનું કારણ- લાકડીઓથી માર મારવાના કારણે શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન છે. મૃત્યુ પહેલા આઘાત અને હેમરેજ.
7. શ્યામ સુંદર (ભાજપ કાર્યકર) મૃત્યુનું કારણ- લાકડીઓથી માર મારવો. ટક્કરથી એક ડઝનથી વધુ ઈજાઓ થઈ હતી.
8. રમણ કશ્યપ (સ્થાનિક પત્રકાર) મૃત્યુનું કારણ- શરીર પર મારપીટના કારણે ગંભીર નિશાન. આઘાત અને હેમરેજને કારણે મૃત્યુ.
માર મારવાના કારણે ડ્રાઈવર અને ભાજપના કાર્યકરના મોત થયા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે ખેડૂતોનું મોત વાહન નીચે કચડાઈ જવાને કારણે થયું છે. ખેંચવાના કારણે ખેડૂતોના શરીર પર ઉંડા ઘા છે. બીજી બાજુ, ભાજપના કાર્યકર, ડ્રાઈવર અને પત્રકારના શરીર પર ઈજાના નિશાન મળ્યા છે. જણાવી દઈએ કે સોમવારે વહીવટીતંત્ર અને ખેડૂતો વચ્ચે સમજૂતી થઈ હતી. હિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારને 45-45 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે અને પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ હિંસામાં ઘાયલ થયેલા લોકોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સિવાય હાઇકોર્ટના નિવૃત્ત જજ આ સમગ્ર મામલાની તપાસ કરશે.
નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા હિંસા ફાટી નીકળી રવિવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય નિર્ધારિત કાર્યક્રમ મુજબ લખીમપુર ખેરીના પ્રવાસે હતા. કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર કથિત રીતે કારને ટક્કર માર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ચાર ખેડૂતો માર્યા ગયા અને બદલામાં ડ્રાઈવર અને બે ભાજપના કાર્યકરોને ખેડૂતોના ટોળાએ માર માર્યો. આ કેસમાં આશિષ મિશ્રા સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Lakhimpur Violence: પ્રિયંકા ગાંધી હજુ પણ નજરકેદમાં છે, કહ્યું- હું ખેડૂતોને મળવા લખીમપુર જઈશ
આ પણ વાંચો: Char Dham Yatra: હાઈકોર્ટે ઉપલી મર્યાદા દૂર કરી, હવે કોઈપણ વ્યક્તિ ચાર ધામ યાત્રા પર જઈ શકે છે