Breaking News : કાશ્મીરી પંડિત સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની જાગી આશા, ચાર્જશીટમાં આતંકી યાસીન મલિકનું નામ
કાશ્મીરમાં 1990ના સમયગાળામાં પંડિતો અને હિન્દુઓ વિરુદ્ધ ફાટી નીકળેલ હિંસા સમયે, શ્રીનગરની સરકારી હોસ્પિટલની નર્સ સરલા ભટ્ટનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના કેસમાં આતંકી યાસિન મલિકનુ નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે, સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની આશા જાગી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શ્રીનગરમાં આવેલ શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નર્સ તરીકે સરલા ભટ્ટ ફરજ બજાવતા હતા. 1990માં કાશ્મીર ખીણમાં હિન્દુ અને ખાસ કરીને કાશ્મીરી પંડિતોને હિજરત કરી જવા મજબૂર કરવા માટે મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. આવા સમયે શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની નર્સ સરલા ભટ્ટનુ કેટલાક આતંકવાદીઓએ બંદુકના નાળચે અપહરણ કર્યું હતું. જેના પર બળાત્કાર ગુજારીને હત્યા કરીને લાશને રસ્તા ઉપર ફેકી દીધી હતી. આમ કરીને શ્રીનગરમાં રહેલા બાકીના હિન્દુઓ અને કાશ્મીરી પંડિતોમાં એક પ્રકારે ભય,ડર પેદા કરવાનો આશય હતો. આ ઘટનામાં 1990ની હિન્દુ વિરોધી લહેરની આગેવાની લેનારા આતંકવાદી અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિકનું નામ ખુલ્યું હતું.
કાશ્મીરી પંડિતોને શ્રીનગર-કાશ્મીરમાંથી હિજરત કરાવવા માટે અનેક નિર્દોષ પંડિતોને ગોળીએ માર્યા હતા અને કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડી દેવા એલાન કરવામાં આવતું હતું. જો કે, અલગાવવાદીઓની ધમકી, હત્યાકાંડ, આગજની છતા, સરલા ભટ્ટે તેની ફરજ છોડી નહોતી આથી યાસિન મલિકે, સરલાનુ અપહરણ કરી હત્યા કરવાનો આદેશ આપ્યો હતો. સરલા ભટ્ટ હત્યા કાંડની તપાસ કરી રહેલ એલઆઈએ એ 737 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમાં મુખ્ય ગુનેગાર તરીકે આતંકવાદી યાસીન મલિક અને અન્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ સરલા ભટ્ટ હત્યાકાંડમાં યાસીન મલિકનુ નામ ચાર્જશીટમાં દાખલ કરતા, સરલા ભટ્ટના પરિવારજનોને 36 વર્ષ બાદ ન્યાય મળવાની એક આશા જાગી છે.
જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ શ્રીનગર સ્થિત ખાસ TADA / POTA કોર્ટમાં 737 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આતંકવાદી જૂથ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના તત્કાલીન મુખ્ય કમાન્ડર મોહમ્મદ યાસીન મલિકનું નામ સરલાની હત્યા કરવા માટે જરૂરી આદેશ આપનાર વ્યક્તિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટ દાખલ કરવાથી જમ્મુ કાશ્મીરમાં ભૂતકાળના આતંકવાદ સંબંધિત ગુનાઓની તપાસમાં એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. આ બનાવ એવા લોકો માટે એક એવો મજબૂત સંદેશ છે જેઓ માનતા હતા કે સમય પસાર થવાની સાથે તેમના ગુનાઓની જવાબદારીમાંથી તેઓ બચી જશે. તેમની સામે કોઈ કાનુની કાર્યવાહી નહીં થાય.
