Karnataka: લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરુગાની ધરપકડ, સગીરોની જાતીય સતામણીનો આરોપ
પોલીસે (Police) જણાવ્યું કે, શિવમૂર્તિ મુરુગાની સોમવારે સગીરો પર જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. શિવમૂર્તિ ચિત્રદુર્ગના આ પ્રખ્યાત મુરુગા મઠના વિશેષ પૂજારી છે. આશ્રમમાં તેમનું વિશેષ માન છે.
કર્ણાટકના (Karnataka) ચિત્રદુર્ગનું મુરુગા મઠ વિવાદોમાં ઘેરાયેલું છે. લિંગાયત મઠના સંત શિવમૂર્તિ મુરુગા પર યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ મામલે તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે (Police) જણાવ્યું કે, શિવમૂર્તિ મુરુગાની સોમવારે સગીરો પર જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. શિવમૂર્તિ ચિત્રદુર્ગના આ પ્રખ્યાત મુરુગા મઠના વિશેષ પૂજારી છે. આશ્રમમાં તેમનું વિશેષ માન છે. જોકે, મઠ તેના પર લગાવવામાં આવેલા જાતીય શોષણના આરોપો બાદ વિવાદમાં આવી ગયો છે.
મળતી માહિતી મુજબ શિવમૂર્તિની હાવેરી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મઠ દ્વારા સંચાલિત સંસ્થામાં સગીર વિદ્યાર્થીનીઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. જાતીય સતામણીનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સંસ્થાની બે સગીર વિદ્યાર્થિનીઓએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાદ મૈસુર પોલીસે શિવમૂર્તિ મુરુગા વિરુદ્ધ FIR નોંધી હતી. મુરુગા વિરૂદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
છોકરીઓએ NGOનો સંપર્ક કર્યો
મઠ દ્વારા સંચાલિત આ શાળામાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ મૈસુરમાં એક બિન-સરકારી સંસ્થા (NGO) ‘ઓડાનાડી સેવા સંસ્થાન’નો સંપર્ક કર્યો હતો. આ ટ્રસ્ટ તસ્કરી અને જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાઓ અને બાળકોના બચાવ, પુનર્વસન અને સશક્તિકરણ માટે કામ કરે છે. સગીરોએ તેમની સાથે થયેલી ક્રૂરતાની આપવીતી સંભળાવી, ત્યારબાદ આ મામલો જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ધ્યાન પર લાવવામાં આવ્યો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મુરુગા મઠની હોસ્ટેલમાં રહેતી 15 અને 16 વર્ષની છોકરીઓની સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી જાતીય સતામણી કરવામાં આવી રહી હતી.
ડરના કારણે છોકરીઓએ ખુલાસો ન કર્યો
ઓડાનાડી સેવા સંસ્થાનના NGOના વડા સ્ટેનલીએ કહ્યું કે જાતીય સતામણી માત્ર આ બે વિદ્યાર્થીનીઓની સમસ્યા નથી. આ સંસ્થામાં અભ્યાસ કરતી ઘણી વધુ વિદ્યાર્થિનીઓને પણ આવી જ રીતે હેરાન કરવામાં આવી રહી છે. હમણાં જ નહીં, પરંતુ ઘણા વર્ષોથી તે ચાલે છે. જો કે, આ બાબત અમારા ધ્યાન પર લાવવામાં આવી હતી કે વિદ્યાર્થિનીઓએ ડરના કારણે જાતીય સતામણીનો મામલો જાહેર કર્યો ન હતો. બાળકોના અધિકારોનું રક્ષણ કરવું એ સમગ્ર સમાજની ફરજ છે અને અમે તેના માટે પ્રતિબદ્ધ છીએ.