Jammu Kashmir: કુલગામમાં આતંકીઓએ પોલીસની નાકા પાર્ટી પર કર્યો હુમલો, બે પોલીસકર્મી ઘાયલ
જમ્મુ -કાશ્મીરના કુલગામ જિલ્લાના માંઝગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.
શનિવારે જમ્મુ -કાશ્મીરના કુલગામ જિલ્લાના માંઝગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, ઘાયલ પોલીસકર્મીઓને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ખતરાની બહાર છે. આ દરમિયાન, વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પહેલા શુક્રવારે પણ આતંકીઓએ શ્રીનગર પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહિ કરવામાં આવી હતી જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ હુમલો શ્રીનગરના રામબાગ ખાતે થયો હતો. ઓપરેશન દરમિયાન બીજો આતંકવાદી ભાગવામાં સફળ રહ્યો હતો. આતંકીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મેળવેલા ઓળખપત્ર અનુસાર, તેની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આકીબ બશીર કુમાર તરીકે થઈ હતી, જે શોપિયાનો રહેવાસી હતો.
શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના ચનાપુર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ મેથન વિસ્તારમાં વહેલી સવારે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આ દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસે જણાવ્યું કે, નજીકના નટીપુર વિસ્તારમાં એન્કાઉન્ટર સ્થળ પરથી એક આતંકવાદી ભાગી ગયા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શુક્રવારે થયેલા ફાયરિંગમાં એક આતંકી માર્યો ગયો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને આ દરમિયાન ઓછામાં ઓછા 7 નાગરિકો પણ માર્યા ગયા છે. ગુરુવારે શ્રીનગરની એક સરકારી શાળામાં આચાર્ય સુપિન્દર કૌર અને શિક્ષક દીપક ચંદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, આતંકવાદીઓએ 2021માં અત્યાર સુધીમાં 28 નાગરિકોની હત્યા કરી છે. આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં 97 આતંકવાદી હુમલા થયા છે. સુરક્ષા દળો પર 71 અને નાગરિકો પર 26 વખત હુમલો થયો છે.