Jammu-kashmir : આતંકી હુમલાની દહેશત વચ્ચે સંવેદનશીલ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા કરવામાં આવી ઠપ્પ
જમ્મુ -કાશ્મીરમાં (Jammu-kashmir)આ મહિનામાં આતંકવાદની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. આતંકવાદીઓ બિન-કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. તો બીજી તરફ સેનાના જવાનો પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને એન્કાઉન્ટર કરી રહ્યા છે.
આ મહિનામાં જમ્મુ -કાશ્મીરમાં (Jammu-kashmir) આતંકવાદી ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. જેને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓ બિન-કાશ્મીરીઓની ટાર્ગેટ કિલિંગ (Target Killing) કરી રહ્યા છે. તો બીજી તરફ સેનાના જવાનો પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને એન્કાઉન્ટર કરી રહ્યા છે. આ દરમિયાન વહીવટીતંત્રે સાવચેતી રૂપે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા (Mobile Internet Service) બંધ કરી દીધી છે.
કાશ્મીરના જે વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં શ્રીનગરના ઈદગાહ, કમરવારી, શૌરા, એમઆર ગુંગ, નોહટ્ટા, અંચાર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલગામના વાનપોહ, કિમોહ અને ઉત્તર પુલવામામાં પણ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઘાટીના કુલ 11 વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, આ મહિને કાશ્મીરમાં ઘણા નાગરિકોની હત્યા કરવામાં આવી છે. કુલગામના વાણપોહ વિસ્તારમાં આતંકવાદીઓએ બિહારના ત્રણ મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં બેના મોત થયા હતા. એક વ્યક્તિ ઘાયલ થયો. શનિવારે પણ આતંકવાદીઓએ પુલવામાં અને શ્રીનગરમાં યુપી અને બિહારના મજુરો પણ ગોળીનો વરસાદ વરસાવ્યો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા.
પરપ્રાંતિય મજૂરોની હત્યા બાદ ભયનું વાતાવરણ સર્જાયું છે. અન્ય રાજ્યોના લોકો સ્થળાંતર કરતા જોવા મળે છે. રવિવારે બે મજૂરોની હત્યા બાદ સોમવારે સવારે કેટલાક લોકો રેલવે સ્ટેશન પર કેન્દ્ર શાસિત પ્રદેશ છોડીને જવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જમ્મુ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો તેમની ટ્રેનની રાહ જોતા જોવા મળ્યા હતા. એક મજૂરે કહ્યું કે તે ફરી ક્યારેય પાછો નહીં ફરે, કારણ કે તેને આતંકવાદીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે અને આતંકવાદીઓ લક્ષ્યને પસંદ કરી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં બિન-કાશ્મીરીઓની એક પછી એક હત્યાના પગલે રવિવારે મોડી સાંજે એક ‘ઈમરજન્સી એડવાઈઝરી’ જાહેર કરવામાં આવી હતી. આ એડવાઈઝરી સલાહકાર દ્વારા, બિન-કાશ્મીરીઓને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ પોતાને અને તેમના પરિવારને સુરક્ષિત રાખવા માટે વહેલી તકે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, આર્મી કેમ્પ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચે.
અચાનક આ ટોળાઓને જોતા કેમ્પ-સ્ટેશન-ચોકીઓમાં હાજર અધિકારીઓ-કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે, ત્યાં સુધી આવી કોઈ એડવાઈઝરી જમ્મુ-કાશ્મીર ખીણ આર્મી કમાન્ડ હેડક્વાર્ટર સુધી પહોંચી ન હતી. આઈજી રેન્જ કાશ્મીરના જણાવ્યા અનુસાર, “આવી કોઈ ઈમરજન્સી એડવાઈઝરી જારી કરવામાં આવી નથી. આ બધી ખોટી અને અફવા છે. આ બધું કોણે અને કયા હેતુ માટે કર્યું છે? તેની તપાસ કરવામાં આવી રહી છે. ”
આ પણ વાંચો :Good News : ખેડૂતો હવે ભાડા પર પણ લઇ શકશે કૃષિ યંત્ર, આ રીતે કરો એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન
આ પણ વાંચો :Ajab-gajab : મકાન માલિકે ભાડુઆત માટે રાખી એવી શરત કે થઇ ગઈ સોશિયલ મીડિયામાં વાયરલ