ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આરોપી અનુજ પ્રતાપ સિંહના એન્કાઉન્ટર પર, તેના પિતા ધર્મરાજ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ એન્કાઉન્ટર માટે સીધે સીધા સપા સુપ્રીમો અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અનુજ પ્રતાપ સિંહના પિતા ધર્મરાજ સિંહે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવની ઈચ્છા પૂરી થઈ ગઈ હશે. કારણ કે આખરે તો, એક ઠાકુરનુ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે.
આની સાથોસાથ ધર્મરાજ સિંહે, ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, જેમની સામે 35 થી 40 જેટલા ગંભીર ગુન્હાઓના કેસ છે તે ગુનેગારોને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવતા નથી, પોલીસ નકલી એન્કાઉન્ટરમાં નાના ગુનેગારોને મારી નાખીને વાહવાહી મેળવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમે ઉન્નાવમાં બિપિન ગેંગના ગુનેગાર અનુજ પ્રતાપ સિંહને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. આ ટોળકીએ ગત, 8 ઓગસ્ટે સુલતાનપુરમાં ભરત જી સોની જ્વેલર્સના શોરૂમમાં સશસ્ત્ર લૂંટ ચલાવી હતી. આ ઘટના બાદ આરોપીઓ સામે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. અમેઠીના જનાપુર ગામનો રહેવાસી અનુજ પ્રતાપ સિંહ, ગેંગસ્ટર બિપિન સિંહનો ડેપ્યુટી હતો. આ લૂંટ પછી જ ગેંગ લીડર બિપિન સિંહે રાયબરેલીમાં આત્મસમર્પણ કર્યું હતું, જ્યારે એસટીએફએ ગુનેગાર મંગેશ યાદવને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.
મંગેશ યાદવના એન્કાઉન્ટર સમયે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે, એસટીએફની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, પોલીસ જાતિના આધારે એન્કાઉન્ટર કરી રહી છે. હવે ધર્મરાજ સિંહે અનુજ પ્રતાપ સિંહના એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, અખિલેશ યાદવની ઈચ્છા પૂરી થઈ હશે. પોલીસે યાદવને ઠાર માર્યા બાદ આજે એક ઠાકુરને પણ એન્કાઉન્ટરમાં ઠાર કરયો છે.
અનુજ પ્રતાપ સિંહના પિતા ધર્મરાજ સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમના પુત્ર વિરુદ્ધ સુરતમાં કેસ નોંધવામાં આવ્યો છે. તે સમયે અનુજ તેમના ઘરે આવ્યો હતો. ત્યાર પછી પરિવારના કોઈ સભ્યએ અનુજને જોયો પણ નથી અને મળ્યા પણ નથી.
આટલું કહીને ધરમરાજસિંહ ભાવુક થઈ ગયા હતા. તેમની આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે આ સરકારમાં મોટા ગુનેગારો જેમની સામે 35-40 કેસ છે, તેમને પોષવામાં આવે છે. જેમની સામે એક-બે નાના કેસ છે તેમને તેમના ઘરેથી ઉપાડી લેવામાં આવે છે અને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુલતાનપુર જ્વેલર્સ લૂંટ કેસમાં કુલ 14 લોકોના નામ હતા, જ્યારે મુખ્ય આરોપીઓનું નામ હજુ સ્પષ્ટ થયું નથી. જેમાંથી પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. બે ગુનેગારો મંગેશ યાદવ અને અનુજ પ્રતાપ સિંહ માર્યા ગયા છે. આમ છતાં, ત્રણ ગુનેગારો અરબાઝ, ફુરકાન અને અંકિત યાદવની પોલીસ શોધ ચાલાવી રહી છે, જેમના પર 1 લાખ રૂપિયાનું ઈનામ છે.