Arunachal Pradesh: ભારત-ચીન સરહદ પર તૈનાત ભારતીય સેનાનો 1 જવાન છેલ્લા 13 દિવસથી ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
મૂળ રૂદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના રહેવાસી પ્રકાશ સિંહ રાણા 7મી ગઢવાલ રાઈફલ્સના સૈનિક છે, જે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર થકલા પોસ્ટ પર તૈનાત છે. પ્રકાશ સિંહ રાણા છેલ્લા 13 દિવસથી ગુમ છે.
અરુણાચલ પ્રદેશમાં (Arunachal Pradesh) ભારત-ચીન બોર્ડર (Indian Army) પર તૈનાત ભારતીય સેનાનો એક જવાન છેલ્લા 13 દિવસથી લાપતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુમ થયેલા જવાનનું નામ પ્રકાશ સિંહ રાણા (Prakash sinh Rana) છે, જે 29 મેથી ગુમ છે. ગુમ થયેલો જવાન ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનનો રહેવાસી છે. સેનાના અધિકારીઓએ જવાન પ્રકાશ સિંહ રાણાના ગુમ થવા અંગે પત્નીને ફોન પર જાણકારી આપી હતી. ત્યારથી પ્રકાશસિંહ રાણાના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે.
પરિવારમાં પત્ની અને બે બાળકો
મૂળ રૂદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના રહેવાસી પ્રકાશ સિંહ રાણા 7મી ગઢવાલ રાઈફલ્સના સૈનિક છે, જે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર થકલા પોસ્ટ પર તૈનાત છે. પ્રકાશ સિંહ રાણા છેલ્લા 13 દિવસથી ગુમ છે, જેના કારણે તેમની પત્ની મમતા અને બે બાળકો અનુજ અને અનામિકા સહિત સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત છે. તેમનો પુત્ર અનુજ 10 વર્ષનો છે, જ્યારે અનામિકા માત્ર સાત વર્ષની છે.
ભાજપના ધારાસભ્યએ જવાન ગુમ થવાની માહિતી કેન્દ્રીય મંત્રીને મોકલી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સહસપુરના ધારાસભ્ય સહદેવ સિંહ પુંડિર શુક્રવારે અહીં સૈનિક કોલોનીમાં રાણાના ઘરે ગયા અને પરિવારને મળ્યા અને કહ્યું કે “મેં આ અંગે સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ સાથે વાત કરી છે અને તેમણે મને ખાતરી આપી છે કે કંઈક કરવામાં આવશે,” ધારાસભ્યએ કહ્યું કે તેમણે ગુમ થયેલા જવાનની માહિતી કેન્દ્રીય મંત્રીને મોકલી છે.