Independence Day : ભારત આજે હર્ષોલ્લાસ સાથે ઉજવશે સ્વતંત્રતા દિવસ, PM મોદી દેશને કરશે સંબોધન, વાંચો દરેક અપડેટ
Azadi ka Amrit Mohotsav : પીએમ મોદી પહેલા રાજઘાટ જશે અને પછી લાલ કિલ્લા પર પહોંચશે. કાર્યક્રમની શરૂઆત પીએમ મોદી ત્રિરંગો લહેરાવીને કરશે, ત્યારબાદ દેશને સંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. આ રીતે પીએમ મોદી નવમી વખત લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવશે. આજનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ અંતર્ગત દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદી પહેલા રાજઘાટ જશે અને ત્યાર પછી લાલ કિલ્લા ( lal killa) પર પહોંચશે. કાર્યક્રમની શરૂઆત પીએમ મોદી ત્રિરંગો લહેરાવીને કરશે, ત્યારબાદ તેમનું ભાષણ શરૂ થશે. આ ભાષણ સવારે 7.30 વાગ્યે શરૂ થશે. તેમના કાર્યક્રમનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદીનું ભાષણ ઓલ ઈન્ડિયા રેડિયો પર પણ સાંભળી શકાય છે.
સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને, લાલ કિલ્લાના પ્રવેશદ્વાર પર બહુ-સ્તરીય સુરક્ષા કોર્ડન ઉપરાંત ચહેરાની ઓળખ કરતી સિસ્ટમ (FRS) સાથે કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં લગભગ સાત હજાર મહેમાનો હાજરી આપશે. સોમવારે સ્મારકની આસપાસ 10,000થી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસે ડ્રોન અને યુએવી વગેરેના સંભવિત ખતરાનો સામનો કરવા માટે લાલ કિલ્લા વિસ્તારમાં ટેરેસ અને અન્ય સંવેદનશીલ સ્થળો પર 400 થી વધુ લોકોને તૈનાત કર્યા છે.
5 KM વિસ્તારને ‘નો કાઈટ ફ્લાઈંગ ઝોન’ તરીકે જાહેર કર્યો
લાલ કિલ્લાની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારને ત્રિરંગો ફરકાવવામાં આવે ત્યાં સુધી ‘નો કાઈટ ફ્લાઈંગ ઝોન’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘એન્ટી-ડ્રોન સિસ્ટમ’ પણ મૂકવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “લાલ કિલ્લામાં અને તેની આસપાસ ઉચ્ચ-વિશિષ્ટ સુરક્ષા કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેમના ફૂટેજ પર ચોવીસ કલાક નજર રાખવામાં આવશે. આ વખતે આમંત્રિત મહેમાનોની સંખ્યા વધીને સાત હજાર થઈ ગઈ છે.
લાલ કિલ્લાના પરિસરમાં આ વસ્તુઓની મંજૂરી નથી
તેમણે કહ્યું કે લાલ કિલ્લાના પરિસરમાં ખાદ્યસામગ્રી, પાણીની બોટલ, રિમોટ કંટ્રોલયુક્ત કારની ચાવી, સ્મોક લાઈટર, બોક્સ, હેન્ડબેગ, કેમેરા, દૂરબીન, છત્રી જેવી ચીજવસ્તુને મંજૂરી આપવામાં આવશે નહીં. સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) દીપેન્દ્ર પાઠકના જણાવ્યા અનુસાર, કલમ-144ની જોગવાઈઓ દિલ્લીમાં પહેલાથી જ લાગુ થઈ ગઈ છે. લાલ કિલ્લા પર 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કાર્યક્રમના અંત સુધી પતંગ, ફુગ્ગા અથવા ચાઈનીઝ ફાનસ ઉડાડતા કોઈપણ વ્યક્તિને સજા કરવામાં આવશે. “પતંગ પકડનારાઓને વ્યૂહાત્મક સ્થળોએ જરૂરી સાધનો સાથે તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ કોઈપણ પ્રકારના પતંગ, ફુગ્ગા અને ચાઈનીઝ તુક્કલને સમારંભના વિસ્તારમાં પહોંચતા અટકાવશે,” તેમણે કહ્યું.