કોરાનાથી ફફડાટ : દેશમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં 40 ટકાનો ઉછાળો, 3 હજારથી વધુ કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે.
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસ વધવા લાગ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે જારી કરાયેલા નવા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિના પછી એક જ દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓના પણ મોત થયા હતા, જેમાં 3 દર્દી મહારાષ્ટ્રના હતા.
વધતા સંક્રમણને પગલે આરોગ્ય વિભાગની વધી ચિંતા
સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,016 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ગઈકાલે એક દિવસ પહેલા બુધવારે 2,151 નવા કેસ સામે આવ્યા હતા. બીજી તરફ દેશમાં દૈનિક પોઝિટિવિટી દર વધીને 2.73 % થયો છે.
ફરીથી વધતા કેસ વચ્ચે સક્રિય કેસોની સંખ્યા વધીને 13,509 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03% છે.રિકવરી રેટ 98.78% છે. તો બીજી તરફ કોરોનાથી મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 6 દર્દીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા 6 દર્દીઓમાંથી 3 દર્દી મહારાષ્ટ્રના અને 2 દિલ્હીના હતા જ્યારે એક દર્દી હિમાચલ પ્રદેશનો હતો.
દિલ્હીમાં પણ વધી રહ્યા છે કોરોનાના કેસ
સતત વધી રહેલા કેસ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનામાંથી 1,396 દર્દીઓ સાજા પણ થયા છે. તો અત્યાર સુધીમાં રિકવરીની સંખ્યા વધીને 4,41,68,321 થઈ ગઈ છે.અગાઉ બુધવારે જારી કરાયેલી માહિતી અનુસાર કોરોનાથી સંક્રમણના 2,151 નવા કેસ નોંધાયા હતા અને આ કેસો છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ દૈનિક નોંધાયેલા કેસ હતા. ગયા વર્ષે 28 ઓક્ટોબરે એક જ દિવસમાં 2,208 નવા કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે બુધવારે પણ કોરોનાથી 4 દર્દીઓના મોત થયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં 3 અને કર્ણાટકમાં એક દર્દીનું મોત થયું હતું.