રાજદ્રોહના કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટીસ ફટકારી, પૂછ્યું શું આઝાદી પછી 75 વર્ષે પણ આની જરૂર છે?
કોર્ટે પૂછ્યું કે આ કાયદો બ્રિટીશ સરકાર દ્વારા મહાત્મા ગાંધી, બાલ ગંગાધર તિલક સામે આઝાદીના સમયે અવાજને દબાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, શું આ કાયદાની આઝાદીના 75 વર્ષ પછી પણ જરૂર છે?
DELHI : રાજદ્રોહ કાયદા (Sedition Law) ની બંધારણીય માન્યતાને પડકારતી ભૂતપૂર્વ સૈન્ય અધિકારીની અરજી પર CJI એન.વી. રમણાની અધ્યક્ષતાવાળી બેંચે બ્રિટિશ કાળથી રાજદ્રોહ કાયદાના અમલીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુખ્ય ન્યાયાધીશે એટર્ની જનરલને પૂછ્યું કે આ કાયદો બ્રિટીશ સરકાર દ્વારા મહાત્મા ગાંધી, બાલ ગંગાધર તિલક સામે આઝાદીના સમયે અવાજને દબાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, શું આ કાયદાની આઝાદીના 75 વર્ષ પછી પણ જરૂર છે?
સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી વતી રાજદ્રોહના કાયદાને પડકારતી અરજી પર સરકારને નોટિસ ફટકારી છે. CJI એ કહ્યું કે ઓથોરિટી દ્વારા આ કલમનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. સુનાવણી દરમિયાન CJI એ આઈટી એક્ટની કલમ 66 નો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે આ અરજીની સુનાવણી અન્ય બાકી અરજીઓ સાથે પણ કરવામાં આવશે.
અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ‘ડરામણી અસર’ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદાની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર “ડરામણી અસર” છે અને તે વાણીની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર પર અયોગ્ય પ્રતિબંધ મૂકે છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણા ઉપરાંત ત્રણ સભ્યોની ખંડપીઠમાં જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રાય શામેલ છે. ખંડપીઠે અરજદારને આ અરજીની નકલ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.
કોણે કરી હતી પીટીશન ? મેજર-જનરલ (નિવૃત્ત) એસજી વોમ્બેટકર દ્વારા દાખલ કરાયેલી આ પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે રાજદ્રોહ સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમ 124-એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે, તેને હટાવવામાં આવે.અરજદારની દલીલ છે કે કાયદો, સરકારના અસંતોષ જેવી બાબતોની ગેરબંધારણીય રીતે અસ્પષ્ટ વ્યાખ્યાઓ પર આધારિત, કલમ 19 (1) (A ) હેઠળ બાંયધરીકૃત અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર પર અયોગ્ય પ્રતિબંધ મૂકે છે.
સમય સાથે આગળ વધવાની જરૂર રાજદ્રોહ સામેની આ પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે રાજદ્રોહની કલમ 124-A ને જોતા પહેલા સમય સાથે અને કાયદાના વિકાસ માટે આગળ વધવું જરૂરી છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટની એક અલગ બેંચે રાજદ્રોહના કાયદાને પડકારતી બે પત્રકારો કિશોરચંદ્ર વાંગખેમચા (મણિપુર) અને કન્હૈયાલાલ શુક્લા (છત્તીસગ) ની અરજીઓ પર કેન્દ્રનો જવાબ માંગ્યો હતો. જેની સુનાવણી 27 જુલાઈએ થવાની છે.