RSSના વડા મોહન ભાગવતનું ‘સમ્રાટ પૃથ્વીરાજ’ જોયા બાદ આવ્યું મહત્વનું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે દિલ્લીમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ નિહાળી હતી. ફિલ્મ જોયા બાદ તેમણે આ ફિલ્મની ઘણી પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે દિલ્લીમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની(Manushi Chhilar) ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ નિહાળી હતી. ફિલ્મ જોયા બાદ તેમણે આ ફિલ્મની ઘણી પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ ફિલ્મ તથ્યો ઉપર આધારિત છે અને તેના દ્વારા જે સંદેશ આપવામાં આવ્યો છે તેની આજે જરૂરિયાત છે. અત્યાર સુધી આપણે બીજાનો લખેલો ઇતિહાસ વાચતા હતા હવે આપણે ભારતીય દ્રષ્ટિકોણથી ઇતિહાસને જોઈશું.
મોહન ભાગવતે એમ પણ કહ્યું કે પૃથ્વીરાજ ચૌહાણ, મોહમ્મદ ઘોરી વિશે આપણે વાંચ્યું જ છે પરંતુ તે કોઈ બીજાએ લખેલું છે. ભારતની ભાષામાં અને ભારતમાં જ લખેલું જે ફિલ્મમાં નિહાળી રહ્યા છીએ તે આજે આપણે પ્રથમવાર જોયુંછે. તેમણે ઉમેર્યું કે આપણા ઇતિહાસને આપણે પોતાની નજરથી અને હ્દયથી સમજી રહ્યા છીએ. આ સમજવાની તક દેશવાસીઓને મળશે તો નક્કી તેનું પરિણામ દેશવાસીઓ માટે સારું જ હશે. બધા જ ભારતવાસી એક થઇને ભારતના સન્માનની રક્ષા કરવા માટે એટલા જ પરાક્રમી સાબિત થશે જેટલા પરાક્રમી આ ફિ્લ્મમાં દર્શાવાયા છે.
ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી વિવાદ અંગે આરએસએસના વડા મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે જ્ઞાનવાપી એક ઇતિહાસ છે. જેને આપણે બદલી શકીએ નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બુધવારે દિલ્લીમાં સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ નિહાળી હતી અને તેમણે પણ ફિલ્મના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઇતિહાસના એક વિદ્યાર્થી તરીકે તેમણે આ ફિલ્મનો આનંદ માણ્યો હતો.
કેવું રહ્યું બોક્સ ઓફિસ પર પ્રદર્શન
સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યા છે. 300 કરોડ રૂપિયામાં તૈયાર થયેલી ફિલ્મને સામાન્ય ઓપનિંગ મળ્યું હતું. ફિલ્મમાં અક્ષય કુમાર, માનુષી છિલ્લરથી માંડીને સંજય દત્ત, સોનુ સૂદ, સાક્ષી તંવર સહિતના કલાકારો છે. તો બોલીવુડના સ્ટાર આઈકોન કહેવાતા અક્ષય કુમારે ફિલ્મ રીલીઝ થયા બાદ એક વખત ચાહકોને વિનંતી કરી છે. અક્ષય કુમારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ નોટ શેર કરી છે. અભિનેતાએ દર્શકોને અપીલ કરી છે કે તેઓ થિયેટરમાં ફિલ્મ જોતી વખતે કોઈપણ પ્રકારનો વિડિયો ન લે. આ સાથે ફિલ્મને કોઈપણ રીતે ઓનલાઈન લીક ન કરો. આ સિવાય અક્ષય કુમારે પોતાની નોટમાં કહ્યું છે કે ફિલ્મની પાઈરેસી કે તેનાથી સંબંધિત કોઈ પણ સ્પોઈલર ન કરે.