જાણો છો ભારતમાં કેટલા લોકો વર્ષે 100 કરોડ કમાય છે ? કેટલા લોકો છે ગરીબ ?
સરકારને સંસદમાં પૂછવામાં આવ્યું કે ભારતમાં કેટલા લોકો વાર્ષિક 100 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે ? વર્ષે 100 કરોડ કમાનારાઓની સંખ્યા છેલ્લા 3 વર્ષમાં કેટલી વધી છે ?
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) મંગળવારે સંસદમાં પુછાયેલા લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતુ કે, ભારતમાં છેલ્લા ત્રણ આકારણી વર્ષમાં, આવકવેરા વિભાગ સમક્ષ રજૂ કરાયેલા, આવકવેરા રિટર્નના ડેટા મુજબ, નાણાંકીય વર્ષ 2020-2021માં કુલ રૂ. 100 કરોડ (એક અબજ) થી વધુ આવક દર્શાવનારા લોકોની સંખ્યા 136 હતી.
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે એવી પણ વિગતો જણાવી હતી કે, ભારતમાં વર્ષે રૂપિયા 100થી 200 કરોડની ( એકથી બે અબજ) આવક જાહેર કરનારાઓની સંખ્યા નાણાંકીય વર્ષ 2020-2021માં 136 હતી. જ્યારે નાણાકીય વર્ષ 2019-2020માં રૂપિયા 100થી 200 કરોડની આવક જાહેર કરનારાઓની સંખ્યા 141 હતી. નાણાકીય વર્ષ 2018-2019માં રૂપિયા 100થી 200 કરોડની આવક જાહેર કરનારાઓની સંખ્યા માત્ર 77 હતી.
લેખિત પ્રશ્ન દ્વારા પૂછવામાં આવ્યું કે શું તે સાચું છે કે લોકડાઉન દરમિયાન દેશમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ? તેના જવાબમાં નાણાં પ્રધાને કહ્યુ કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, પ્રત્યક્ષ કર હેઠળ ટ્રિલિયોનેર શબ્દની કોઈ કાયદાકીય અથવા વહીવટી વ્યાખ્યા નથી.
તેંડુલકર સમિતિની પદ્ધતિને અનુસરીને, 2011-12માં ભારતમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા 27 કરોડ (21.9 ટકા) હોવાનો અંદાજ હતો. નાણાં પ્રધાને કહ્યું કે સરકારે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ પર ભાર મૂકતા વિવિધ યોજનાઓ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે.
આ પણ વાંચોઃ વિનેશ ફોગાટને રેસલિંગ ફેડરેશન દ્વારા સસ્પેન્ડ કરાઇ, Tokyo Olympics માં ગેરશિસ્ત આચરી હંગામો મચાવ્યો હતો
આ પણ વાંચોઃ Gandhinagar : ખેડૂતો માટે ખુશખબર, મુખ્યપ્રધાનનો રાજ્યના ખેડૂતોના હિતમાં નિર્ણય