સામાન્ય નાગરીકો માટે રાહતના સમાચાર! દાળ સહિત આ વસ્તુઓ થઈ સસ્તી, ઓગસ્ટમાં CPI 5.59 ટકાથી ઘટીને 5.3 ટકા પર પહોંચ્યો
India inflation rate 2021: સરકારે ફુગાવાના દરના આંકડા જાહેર કર્યા છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.30 ટકા થયો છે.
દાળ સહિત અનેક જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે ફુગાવાનો દર નીચે આવ્યો છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો દર (CPI-Consumer Price Index) 5.59 ટકાથી ઘટીને 5.30 ટકા થયો છે. સતત બીજા મહિને ફુગાવાના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ફુગાવાના દરમાં ઘટાડો થવો એ સારો સંકેત છે. આવી સ્થિતિમાં મંગળવારે શેરબજારમાં પણ તેજી આવી શકે છે. તેથી રોકાણકારોને પણ આનો લાભ મળશે. ઉપરાંત, આરબીઆઈને પણ વ્યાજ દરોની સમીક્ષા કરીને આ અંગે નિર્ણય લેવામાં સરળતા રહેશે.
ફુગાવાના દરમાં થયો ઘટાડો
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ફુગાવો (Food Inflation) 3.96 ટકાથી ઘટીને 3.11 ટકા થયો છે. ફ્યુલ અને લાઈટ સાથે જોડાયેલા ફુગાવાનો દર 12.38 ટકાથી વધીને 12.95 ટકા થયો છે. હાઉસિંગ સાથે જોડાયેલા ફુગાવાનો દર 3.86 ટકાથી વધીને 3.90 ટકા થયો છે. કપડાં અને ચપ્પલના ફુગાવાનો દર પણ 6.46 ટકાથી વધીને 6.84 ટકા થયો છે. જ્યારે દાળના ફુગાવાનો દર 9.04 ટકાથી ઘટીને 8.81 ટકા થયો છે.
આગળ કેવી રહેશે મોંઘવારી
રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં ગ્રાહક ભાવ અનુક્રમણિકા આધારિત ફુગાવો 5.7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. સેન્ટ્રલ બેંકનો અંદાજ છે કે તે બીજા ક્વાર્ટરમાં 5.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.3 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહેશે. જ્યારે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રિટેલ ફુગાવો 5.1 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
વધતી મોંઘવારીથી કેવી રીતે બચી શકાશે?
મોંઘવારીમાં વધારો થતાં લોકોની ખરીદશક્તિ સમય સાથે ઘટતી જાય છે. કોઈપણ રોકાણ પર મળતા વળતર પર પણ આની અસર પડે છે. આવી સ્થિતિમાં તમારે રોકાણ પર મહત્તમ વળતર મેળવવા માટે જ તમારું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
- વધતી જતી મોંઘવારીની સૌથી મોટી અસર તમારા બજેટ પર પડશે. અગાઉ, તમે જરૂરી ખર્ચ માટે જેટલું બજેટની નક્કી કર્યું હતું, હવે તે પૂરતું રહેશે નહીં. આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારે તમારો ખર્ચ ઓછો કરવો પડશે.
- જો ભવિષ્યમાં વ્યાજદર વધશે તો તમારે તમારી હાલની લોનની સમીક્ષા કરવાની જરૂર પડશે. SBI સહિત કેટલીક બેંકોએ પહેલાથી જ તેમાં વધારો કરી દીધો છે. જ્યારે વ્યાજ દર વધવા લાગે છે, ત્યારે બેન્કો સામાન્ય રીતે ઈએમઆઈ (EMI) વધારવાને બદલે લોનની મુદ્દત લંબાવતી હોય છે. જેનાથી તમારા દ્વારા ચુકવવામાં આવતા કુલ વ્યાજની રકમ વધી જતી હોય છે. આવી સ્થિતિમાં જો શક્ય હોય તો તમારી હાલની લોનમાં આંશિક પ્રિપેમેન્ટ કરી દેવુ જોઈએ. તેમજ તમારી ઈચ્છા હોય તો બેન્કને શક્ય તેટલી મહત્તમ રકમ ચુકવી દેવી જોઈએ.
- તેલના ભાવમાં વધારાની શેરબજાર પર કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. પરંતુ તેનાથી વિપરીત ઘણા ભારતીય શેરોએ પહેલા પણ આવી પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કર્યું છે.