Dengue Cases: દેશની રાજધાની ડેન્ગ્યુના ભરડામાં, કોરોનાથી ચાર ગણા ડેન્ગ્યુના દર્દી, અમુકની હાલત ગંભીર
ડોક્ટરોનું કહેવું છે કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના ત્રણ ગણા કેસ સામે આવી રહ્યા છે. જેમાં બાળકોની સંખ્યા પણ વધારે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં અમુક દર્દી ગંભીર હાલતમાં પણ છે.
દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ડેન્ગ્યુ (Dengue)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલત એવી છે કે હોસ્પિટલોમાં કોવિડથી ચાર ગણા વધારે ડેન્ગ્યુના દર્દીઓ દાખલ છે. અનેક હોસ્પિટલ એવી પણ છે જ્યાં કોવિડનો એક પણ દર્દી નથી. પરંતુ ડેન્ગ્યુના દર્દીઓથી વોર્ડ ભરાય ગયા છે. ડોક્ટરોનું કહેવું છે કે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના ત્રણ ગણા કેસ સામે આવી રહ્યા છે.
જેમાં બાળકોની સંખ્યા પણ વધારે છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં અમુક દર્દી ગંભીર હાલતમાં પણ છે. દિલ્હીના લોકનાયક હોસ્પિટલ (L.N.J.P Hospital)ના તબીબ નિર્દેશક (Medical Superintendent) ડોક્ટર સુરેશ કુમારના જણાવ્યા અનુસાર આ વખતે ડેન્ગ્યુના ઘણા કેસ આવી રહ્યા છે.
તેઓએ આગળ જણાવ્યું કે હોસ્પિટલમાં આ સમયે ડેન્ગ્યુના 40 દર્દી દાખલ છે. જ્યારે કોરોનાના માત્ર ચાર દર્દી છે. તાવની તપાસ કરાવનાર દર 10 લોકોમાંથી ચારને ડેન્ગ્યુ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં ડેન્ગ્યુના બે દર્દીઓની હાલત ગંભીર છે. તેઓને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. રામમનોહર લોહિયા (RML) હોસ્પિટલના ડોક્ટર વિકાસ જૈનએ જણાવ્યું કે અહીં કોવિડના 11 અને ડેન્ગ્યુના 45 દર્દી દાખલ છે. આ સંખ્યા ગત વર્ષની સરખામણીએ વધુ છે.
દરરોજ આવી રહ્યા છે 20થી 30 કેસ
સ્વામી દયાનંદ હોસ્પિટલના તબીબ નિર્દેશક ડોક્ટર રજનીએ જણાવ્યું કે હોસ્પિટલમાં રોજના ડેન્ગ્યુના 20થી 30 કેસ આવી રહ્યા છે. જેમાં અમુક લોકોને દાખલ પણ કરવા પડી રહ્યા છે. હાલ 95 દર્દી દાખલ છે. જેમાં 13 બાળકો છે. જીબીટી હોસ્પિટલના ડોક્ટર વિનય રાયએ જણાવ્યું કે હોસ્પિટલમાં રોજના 20 દર્દી આવી રહ્યા છે.
આ સંખ્યા ગત વર્ષ કરતા ચાર ગણી છે. ડો. રજનીએ જણાવ્યું કે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દિલ્હીથી બહારના દર્દી પણ આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે ગત વર્ષ ડેન્ગ્યુના કેસ ખુબ ઓછા હતા, પરંતુ આ વખતે દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. તાવથી પીડિત દર્દીઓની તપાસમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ મળી રહ્યા છે.
શા માટે વધી રહ્યા છે ડેન્ગ્યુના કેસ
ડેન્ગ્યુના વધતા કેસ પર ડોક્ટર સુરેશ કુમારનું કહેવું છે કે આ વર્ષે ખુબ વધારે વરસાદ પડ્યો છે. જેનાથી અનેક સ્થળો પર પાણી ભરાઈ ગયું છે. જેમાં ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થયા છે. ડોક્ટર સુરેશનું કહેવું છે કે લાંબા ચોમાસાના કારણે મચ્છરોનું પ્રજનન પણ વધારે થયું. આ બે કારણોથી આ વખતે કેસ વધુ આવી રહ્યા છે.
બાળકોનું રાખો ધ્યાન
ડોક્ટર સુરેશ અનુસાર બાળકો સરળતાંથી ડેન્ગ્યુની ચપેટમાં એટલા માટે આવી જતાં હોય છે કારણ કે મોટાભાગના બાળકો ઘરની બાહર રમતા હોય છે. આ દરમિયાન તેઓને મચ્છર કરડી લે છે અને તેઓ સંક્રમિત થઈ જાય છે. માતા-પિતા ધ્યાન રાખે કે બાળકોના શરીર ઢંકાય તેવા (Full arm) કપડા પહેરે અને તેમને ગંદકીમાં ન જવા દે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનામાં મળશે 4 હજાર, આ ફેક યોજનાના ખોટા મેસેજથી રહેજો સાવધાન
આ પણ વાંચો: Good News: ખેડૂતોને કપાસના મળશે સારા ભાવ, પરંતુ ખેડૂતોને આ બાબતોનું ધ્યાન રાખવા વૈજ્ઞાનિકોની સલાહ