Farmers Protest: 26 જૂને દેશભરના તમામ રાજભવનનો ઘેરાવ કરવામાં આવશે, સંયુક્ત કિસાન મોરચાનું એલાન
ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ તેમના વિરોધના સાત મહિના પૂરા થવા પર 26 મી જૂને શુક્રવારે મોરચાએ દેશભરમાં 'રાજ ભવન ઘેરાવ' નું આયોજન કરવાની જાહેરાત કરી હતી.
સંયુક્ત કિસાન મોરચા (Samyukta Kisan Morcha) દેશના કુલ 40 થી વધુ ખેડૂત સંઘનું નેતૃત્વ કરે છે. ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ તેમના વિરોધના સાત મહિના પૂરા થવા પર 26 મી જૂને શુક્રવારે મોરચાએ દેશભરમાં ‘રાજ ભવન ઘેરાવ’ નું આયોજન કરવાની જાહેરાત કરી હતી.
26 જૂનના વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો સંબંધિત રાજ્યોમાં રાજ્યપાલના સત્તાવાર રહેઠાણોની બહાર કાળા ધ્વજ ફરકાવશે. આ મોરચો દરેક રાજ્યના રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક મેમોરેન્ડમ મોકલશે. એસકેએમના ખેડૂત નેતા ઈન્દ્રજીતસિંહે કહ્યું કે આ દિવસને “ખેતી બચાવો, લોકશાહી બચાવો દિવસ” તરીકે ઉજવવામાં આવશે.
સિંહે કહ્યું, અમે રાજ ભવનમાં કાળા ઝંડા બતાવીશું. દરેક રાજ્ય રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને નિવેદન આપીને વિરોધ કરશે. 26 જૂન એ પણ દિવસ છે જ્યારે 1975 માં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને અમારા વિરોધના સાત મહિના પણ પૂર્ણ થઈ રહ્યા છે. સરમુખત્યારશાહીના આ વાતાવરણમાં કૃષિની સાથે લોકોના લોકશાહી અધિકાર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. આ એક અઘોષિત કટોકટી છે.
દિલ્હીની સરહદો પર ખેડૂતોનો જમાવડો મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો આ ત્રણેય કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર પડાવ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડુતોનું કહેવું છે કે નવા કૃષિ કાયદાના અમલીકરણ સાથે એમએસપીનો અંત આવશે. સરકારે કહ્યું છે કે આ બધી ચિંતાઓ પાયાવિહોણી છે અને નવા કાયદા ખેડૂતના હિતમાં છે. સુપ્રીમ કોર્ટે આગળના આદેશો સુધી કાયદાના અમલ પર રોક લગાવી છે અને મુદ્દાઓની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
24 જૂને, તમામ સરહદો પરના ખેડૂત સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી કરશે. દરમિયાન, ખેડૂત નેતા સુમન હૂડાએ જણાવ્યું હતું કે શનિવારની સાંજ સુધીમાં વિરોધ સ્થળો પર મહિલાઓને સમર્પિત વિશેષ સમિતિઓની રચના કરવામાં આવશે.