Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં એન્કાઉન્ટર, બે આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) અવંતીપોરામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં (Encounter in Jammu Kashmir) મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને (Terrorists in Kashmir) ઠાર કર્યા છે. તેમની પાસેથી 2 AK 47 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ત્રાલના રહેવાસી શાહિદ રાથેર અને શોપિયાંના રહેવાસી ઉમર યુસુફ તરીકે થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલાની માહિતી આપી છે.
આ મામલે વધુ વિગતો આપતા પોલીસે કહ્યું કે, પુલવામાના અવંતીપોરના રાજપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે. પોલીસ (Jammu Kashmir Police) અને સુરક્ષા દળોએ હાલ સુરક્ષા વધારી દીધી છે.
સર્ચ ઓપરેશન દરમિયાન થયુ એકાઉન્ટર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. તે જ સમયે જ્યાં આતંકીઓ છુપાયેલા હતા ત્યાંથી ફાયરિંગ શરૂ થઈ ગયું. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કરવો પડ્યો હતો. એક દિવસ પહેલા, એવા અહેવાલ હતા કે પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથે રાતોરાત અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદની હત્યામાં સામેલ એક આતંકવાદી પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
આતંકીઓ ઘરમાં છુપાયા હતા
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પુલવામાના ગુંડીપુરમાં રવિવારે રાત્રે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે સુરક્ષા દળો શંકાસ્પદ સ્થળ તરફ આગળ વધ્યા ત્યારે નઝીર અહેમદ મીર નામના વ્યક્તિના ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો, જેના પગલે જવાબી કાર્યવાહી કરવામાં આવી અને એન્કાઉન્ટર શરૂ થયું.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અંધકારને કારણે કોઈપણ નુકસાન ન થાય તે માટે, ઓપરેશન રાત્રે અટકાવવામાં આવ્યુ અને વહેલી તકે સવારે ફરીથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે પોલીસ રેકોર્ડ મુજબ, માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પોલીસ પર હુમલા અને નાગરિકો પર અત્યાચાર સહિત અનેક કેસોમાં સામેલ જૂથોનો ભાગ હતા.