ઉશ્કેરણીજનક નિવેદન પર બબાલ: દિલ્હી પોલીસે નુપુર શર્મા, સબા નકવી, મુફ્તી નદીમ સહિત 9 લોકો સામે FIR નોંધી
દિલ્હી પોલીસે પયગંબર મોહમ્મદ (Prophet Muhammad Row) વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા સહિત 9 લોકો સામે કેસ નોંધ્યો છે. દરેક સામે વાતાવરણ બગાડવાનો આરોપ છે.
પયગંબર મોહમ્મદ (Prophet Muhammad Row) વિશે ટિપ્પણી કરીને ચર્ચામાં આવેલા ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા સહિત 9 લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. સ્પેશિયલ સેલના સાયબર યુનિટ દ્વારા FIR નોંધવામાં આવી છે. આ તમામ લોકો પર ધર્મ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને વાતાવરણ બગાડવાનો આરોપ છે. નુપુર શર્મા (Nupur Sharma)ઉપરાંત સાયબર યુનિટે ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાન મુફ્તી નદીમ, અબ્દુલ રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુન સામે પણ કેસ નોંધ્યો છે. કેસ નોંધાયા બાદ હવે પોલીસ (Delhi Police)આ કેસની તપાસ કરી રહી છે. નુપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી વિવાદ ઘણો વધી ગયો. આરબ દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી. ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ દ્વારા એક પત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ટીપ્પણીઓ ભાજપના મૂળ વિચારની વિરુદ્ધ છે.
નૂપુર શર્માએ માફી માંગી
પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ નુપુર શર્માએ પોતાની ટિપ્પણી બદલ માફી પણ માંગી હતી. તેણીએ કહ્યું કે હું મારા શબ્દો પાછા લઉં છું. તેણે કહ્યું કે મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. જો મારા શબ્દોથી કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.
દિલ્હી પોલીસે સુરક્ષા આપી હતી
જ્યારે મામલો સામે આવ્યો ત્યારથી નુપુર શર્માને સતત ધમકીઓ મળી રહી છે. જે બાદ દિલ્હી પોલીસે નુપુર શર્માને સુરક્ષા પુરી પાડી હતી. નુપુર શર્માએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી દિલ્હી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે નુપુર શર્મા અને તેના પરિવારની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો હતો.