Cyclone Asani Latest Updates: વાવાઝોડું ‘અસાની’ આગામી બે દિવસમાં નબળું પડી શકે છે, ઓડિશાના અનેક જિલ્લાઓમાં એલર્ટ જારી
Cyclone Asani: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) અને ફાયર સર્વિસની બચાવ ટીમો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. બાલાસોરમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.
Cyclone Asani Latest Updates: બંગાળની ખાડી પર બનેલું ચક્રવાત આસાની(Cyclone Asani) સોમવારે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ(Andhra Pradesh) અને ઓડિશા(Odisha) તરફ આગળ વધી રહ્યું છે, જોકે આગામી બે દિવસમાં તે ધીમે ધીમે નબળું પડવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગે (Indian Metrological Department) આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ‘અસાની’ના કારણે પવન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે અને વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે આજે સવારે 5.30 વાગ્યે, ચક્રવાતી તોફાન વિશાખાપટ્ટનમથી લગભગ 550 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ અને પુરીથી 680 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં હતું.
પ્રાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “મંગળવાર સુધીમાં તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ મધ્ય અને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળી શકે છે અને ઓડિશા કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી શકે છે. આગામી 48 કલાક દરમિયાન તે ધીમે ધીમે નબળું પડીને ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે
IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ રવિવારે કહ્યું હતું કે તે ઓડિશા કે આંધ્રપ્રદેશ નહીં પહોંચે. તેમણે કહ્યું હતું કે ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને મંગળવાર સાંજથી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડીમાં દરિયાઈ હિલચાલ વધુ તીવ્ર થવાની સંભાવના છે અને માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે, મંગળવારે સાંજથી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
જોકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) અને ફાયર સર્વિસની બચાવ ટીમો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. NDRFની એક ટીમ બાલાસોરમાં તૈનાત કરવામાં આવી છે અને ODRAFની એક ટીમને ગંજમ જિલ્લામાં મોકલવામાં આવી છે. પુરી જિલ્લાના કૃષ્ણ પ્રસાદ, સતપારા, પુરી અને અસ્તરાંગ બ્લોકમાં અને કેન્દ્રપારામાં જગતસિંહપુર, મહાકાલપાડા અને રાજનગર અને ભદ્રકમાં પણ ODRAF ટીમો તૈયાર છે.
ઓડિશાના આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
ભુવનેશ્વર હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, “ચક્રવાતના પ્રભાવ હેઠળ મંગળવાર સાંજથી દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત પ્રવૃત્તિઓ શરૂ થશે.” મંગળવારે ઓડિશાના ગજપતિ, ગંજમ અને પુરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. બુધવારે ગંજમ, ખુર્દા, પુરી, જગતસિંહપુર અને કટકમાં ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપારા, ભદ્રક અને બાલાસોરમાં ભારે વરસાદની સંભાવના છે.