Corona Virus: સીરમ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટરે દેશમાં રસીની અછત માટે કેન્દ્ર સરકારને ઠેરવી જવાબદાર, જાણો શું કહ્યું
Coronavirus : દેશના કેટલાય ભાગમાં વેક્સિનની ભારે અછતના સમાચાર વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ જાધવે મોટું નિવેદન આપ્યુ છે.
Corona Virus: દેશમાં કોરોના વેક્સિનની (Corona Vaccine) અછતનો દોષનો ટોપલો સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ (SII) કેન્દ્ર સરકાર પર નાખ્યો છે. દેશના કેટલાય ભાગમાં વેક્સિનની ભારે અછતના સમાચાર વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુરેશ જાધવે મોટું નિવેદન આપ્યુ છે.
દેશમાં કોરોના વેક્સિન કોવીશિલ્ડનું (Covishield Vaccine) ઉત્પાદન કરનારી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે વેક્સિનની અછતને લઈ સરકારને જવાબદાર ઠેરવી છે. હેલ્થ એડવોકેસી તરફથી આયોજિત વર્ચ્યુઅલ સેમિનારમાં જાધવે કહ્યું કે દેશને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના(WHO) નિર્દેશોનું પાલન કરવું જોઈએ અને તે પ્રમાણે રસીની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ.
આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકારે રસીકરણ ડ્રાઈવ વધારી તે દરમિયાન ઉપલબ્ધ સ્ટોક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની ગાઈડલાઇન્સને ધ્યાનમાં ન રાખી.સાથે જ તેમણે ઉમેર્યુ કે શરુઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવાની હતી, જે માટે 60 કરોડ ડોઝની જરુર હતી.
ટાર્ગેટ સુધી પહોંચીએ તે પહેલા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરુ કરાયુ
જાધવે આગળ કહ્યું કે અમે ટાર્ગેટ સુધી પહોંચીએ તે પહેલા સરકારે 45 વર્ષથી ઉપરના લોકો સાથે સાથે 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે પણ રસીકરણ ચાલુ કરી દીધુ. સરકારને પણ ખબર હતી કે આપણી પાસે એટલો સ્ટોક ઉપલબ્ધ નથી. આ વાત પરથી આપણને એ શીખ મળે છે કે ઉત્પાદનની ઉપલબ્ધતાને ધ્યાને રાખવી જોઈએ અને તેનો વ્યાજબી રીતે ઉપયોગ કરવો જોઈએ.
રસી લીધા બાદ પણ સાવધાન રહેવુ જરુરી
જાધવે આગળ કહ્યું કે રસીકરણ જરુરી છે, પરંતુ વેક્સિનનો ડોઝ મળ્યા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. લોકોએ સાવધાન રહેવાની જરુર છે. રસીકરણ બાદ પણ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાની જરુર છે. તેમણે કહ્યું કે કઈ રસી પ્રભાવી છે અને કઈ રસી પ્રભાવી નથી તે કહેવુ ઉતાવળભર્યુ થશે. સીડીસી અને એનઆઈએચ ડેટા પ્રમાણે જે રસી ઉપલબ્ધ છે તેનો ડોઝ લેવો જોઈએ.
આ પણ વાંચો: Corona : દિલ્હીમાં ઘટી રહ્યો છે કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં 2200 કેસ નોંધાયા