ટ્વિટર (Twitter) અને કોંગ્રેસ (Congress) વચ્ચેની તકરાર સતત વધી રહી છે. ટ્વિટરે રાહુલ ગાંધી (Rahul Gandhi) સહિત કોંગ્રેસના ઘણા નેતાઓના એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા. આવી પરીસ્થિતિમાં હવે રાહુલ ગાંધીએ આ મામલે મૌન તોડ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા કહ્યું કે જો દયા અને સહાનુભૂતિ બતાવવી એ ગુનો છે, તો તે દોષિત છે. તેમણે કહ્યું કે જો બળાત્કાર અને હત્યા સામે અવાજ ઉઠાવવો એ ગુનો છે તો તે ગુનેગાર છે.
દેશની રાજધાનીમાં ગયા અઠવાડીયે 9 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. આ કેસમાં પીડિતાના પરિવારની તસવીરો પોસ્ટ કરવા બદલ ટ્વિટરે રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓના એકાઉન્ટને બ્લોક કરી દીધા હતા.
આ અંગે ટ્વિટર પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે તેઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને છોકરીના માતા -પિતાની તસવીર પોસ્ટ કરી હતી. આ માટે તેમના એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. ટ્વિટરના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી વ્યક્તિની અંગત માહીતીની ગોપનીયતા અને સલામતી જળવાય રહે તે માટે કરવામાં આવી હતી.
View this post on Instagram
રાહુલ ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર કરી પોસ્ટ
રાહુલ ગાંધીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરી. તેમણે કહ્યું કે તેઓ અમને એક જ જગ્યાએથી માત્ર બ્લોક કરી શકશે. પરંતુ અમારો અવાજ દબાવી નહી શકે.
તેમણે આગળ લખ્યું કે કરુણા, પ્રેમ અને ન્યાયનો સંદેશ સાર્વત્રિક છે. દેશની પ્રજા ચૂપ નહીં બેસે. અંતે, તેમણે તેમની પોસ્ટમાં લખ્યું “ડરશો નહીં, સત્યમેવ જયતે”
આ સાથે જ કોંગ્રેસ પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ લોક કરી દેવામાં આવ્યું હતું. ટ્વિટરના પ્રવક્તાએ ગુરુવારે આ સંદર્ભે જણાવ્યું હતું કે કંપનીના નિયમો દરેકને સમાન રીતે લાગુ પડે છે.
અમે અમારા નિયમોનું ઉલ્લંઘન કરતી દરેક ટ્વીટ પર સમાન રીતે કાર્યવાહી કરીએ છીએ. આ પ્રકારની કેટલીક અંગત માહિતી અન્ય કંઈપણ પોસ્ટની સરખામણીએ વધુ જોખમ ઊભું કરે છે. વ્યક્તિઓની ગોપનીયતા અને સુરક્ષા જળવાઈ રહે તેવું અમારું ઉદ્દેશ્ય છે.
આ પણ વાંચો : શરદ પવારના અવાજની નકલ કરીને મહારાષ્ટ્ર ગૃહ વિભાગમાં ફોન કરનાર શખ્સ ઝડપાયો