કોઈ તોડી રહ્યુ છે તો અમે જોડવાનું કામ કરી રહ્યા છીએ… ભારત જોડો યાત્રાને લઈ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
જયરામ રમેશે જણાવ્યું હતું કે આ યાત્રા એક સાંભળવાની યાત્રા છે જ્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) તમિલનાડુના કન્યાકુમારીથી જમ્મુ અને કાશ્મીર સુધીની 3,570 કિલોમીટરની યાત્રા દરમિયાન સામાન્ય લોકોની મુલાકાત લેશે.
કોંગ્રેસે (Congress) રવિવારે કહ્યું કે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) માત્ર ભાજપની કથિત વિભાજનકારી રાજનીતિની વિરુદ્ધ નથી, પરંતુ તેનો હેતુ દેશભરમાં પાર્ટી સંગઠનને બ્લોકથી રાજ્ય સ્તર સુધી પુનર્જીવિત કરવાનો છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રભારી જનરલ સેક્રેટરી (કોમ્યુનિકેશન્સ) જયરામ રમેશે જણાવ્યું હતું કે આ યાત્રા એક સાંભળવાની યાત્રા છે જ્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) તમિલનાડુના કન્યાકુમારીથી જમ્મુ અને કાશ્મીર સુધીની 3,570 કિલોમીટરની યાત્રા દરમિયાન સામાન્ય લોકોની મુલાકાત લેશે.
તેમણે ગાંધીજીના કપડા વિશે સોશિયલ મીડિયા પર ફરતી થયેલી ટિપ્પણીઓ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ એક પક્ષનું નાનું, બાલિશ અને મૂર્ખામીભર્યું કૃત્ય છે, જે આ યાત્રાથી હતાશ છે. એક પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય લક્ષ્યથી ભટકવાનો છે. અમે ઝૂકવાના નથી. અમારૂ ધ્યાન ભટકશે નહીં.
યાત્રાનો બીજો ચરણ આજથી શરૂ
યાત્રાનો બીજો તબક્કો અહીંના નેય્યાટ્ટિનકરાથી સાંજે 4 વાગ્યે શરૂ થયો હતો. જયરામ રમેશે કહ્યું, આ એક નવી અને આક્રમક કોંગ્રેસ છે, જે લોકો સાથે જોડાઈ રહી છે. પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે ગાંધીજીના કપડા વિશેની ટિપ્પણીઓ દર્શાવે છે કે ભારત જોડો યાત્રા એ પક્ષો માટે સમસ્યા બની ગઈ છે જે કોંગ્રેસને ખતમ કરવા માંગે છે. તેમણે કહ્યું કે અમારો ઈરાદો એકદમ સ્પષ્ટ છે. અમારો હેતુ ભય અને ગુસ્સાના ફેલાવાને રોકવાનો છે.
રાહુલ ગાંધી માછીમારો સાથે વાતચીત કરશે
વેણુગોપાલે જણાવ્યું હતું કે ગાંધી વિઝિંજમ પોર્ટ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા માછીમારો ઉપરાંત કે-રેલ વિરોધી ચળવળ અને રાજ્યમાં આવી અન્ય ચળવળના નેતાઓ સાથે વાતચીત કરશે. વેણુગોપાલે જણાવ્યું હતું કે ગાંધી સમાજ સુધારક અયંકલી, ચટ્ટમ્પી સ્વામીકલ અને શ્રી નારાયણ ગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે યાત્રા રૂટની બીજી બાજુ પણ જશે. સાથે જ જયરામ રમેશે કહ્યું કે આ યાત્રા કોઈ વિધાનસભા ચૂંટણી કે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી નથી.
કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા
તેમણે આરોપ લગાવ્યો કે, અમે જોડવાનું કામ કરી રહ્યા છીએ કારણ કે કોઈ તોડવાનું કામ કરી રહ્યું છે. ભાજપ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતના ભાગલા પાડવાની યોજના ધરાવે છે, જ્યારે કોંગ્રેસ તેને એક કરવાની યોજના ધરાવે છે. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, આજે વિવિધતા જોખમમાં છે અને તેથી એકતા જોખમમાં છે. ભાજપ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિવિધતાને નકારે છે, તેથી અમે યાત્રા શરૂ કરી છે.