દિલ્લી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો વિશ્વાસનો મત, કેજરીવાલે કહ્યું- ‘ઓપરેશન લોટસ’ની કિંમત 800 કરોડ હતી
કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે આઝાદીના 75 વર્ષોમાં દહીં, લસ્સી, છાશ, ઘઉં, ચોખા પર ટેક્સ લાદવામાં આવ્યો ના હતો. અંગ્રેજોએ પણ તેના પર ટેક્સ લગાવ્યો ન હતો. પરંતુ ભાજપ અને કેન્દ્રની સરકારે ટેક્સ લગાવીને મોંધવારી વધારી છે.
દિલ્લી વિધાનસભાના (Delhi Assembly) વિશેષ સત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને સીએમ અરવિંદ કેજરીવાલે વિશ્વાસ મત (Vote of Confidence) રજૂ કર્યો છે. વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલ કેનેડામાં છે, તેથી આજે પણ ડેપ્યુટી સ્પીકર રાખી બિરલા ગૃહની કાર્યવાહી ચલાવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી વિધાનસભામાં હંગામા બાદ વિપક્ષના તમામ ધારાસભ્યોને ગૃહની બહાર હાંકી કાઢવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યો ગૃહમાં પ્લેકાર્ડ લઈને વચ્ચોવચ ધસી આવ્યા હતા, ત્યારબાદ વિપક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસની કાર્યવાહીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વિશ્વાસ મત દરમિયાન સીએમ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
સીએમ કેજરીવાલે ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, વિશ્વાસ પ્રસ્તાવ દ્વારા અમે બતાવવા માંગીએ છીએ કે AAPના દરેક ધારાસભ્ય અને કાર્યકર્તા કટ્ટર ઈમાનદાર છે. તેમણે કહ્યું કે ઓપરેશન લોટસ મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સફળ રહ્યું, પરંતુ દિલ્હી આવ્યા પછી તેઓ થાકી ગયા. દિલ્હીના સીએમએ કહ્યું કે તેઓએ (ભાજપ) અમારા ધારાસભ્યોને ખરીદવાનો પૂરો પ્રયાસ કર્યો. વિશ્વાસ પ્રસ્તાવથી સાબિત કરીશું કે એક પણ ધારાસભ્ય વેચાયો નથી.
અરવિંદ કેજરીવાલે વિશેષ સત્ર દરમિયાન કહ્યું કે આ ખૂબ જ દુઃખની વાત છે કે આજે આટલા મહત્વના વિષય પર ચર્ચા થવાની છે અને વિપક્ષ બેજવાબદાર વલણ અપનાવી રહ્યા છે અને તેઓ ચર્ચા કરવા માંગતા નથી, માત્ર નાટક કરવા માંગે છે. તેમણે કહ્યું કે લોકોએ જોવું જ પડશે કે ભાજપના લોકો વાત નથી કરતા અને યુક્તિઓ કરે છે. સીએમ કેજરીવાલે કહ્યું કે આજે આખા દેશના લોકો મોંઘવારીથી ખૂબ પરેશાન છે, તેમના ઘર નથી ચાલી રહ્યા, ઘણા લોકોએ એક સમય માટે શાકભાજી લેવાનું બંધ કરી દીધું છે, દૂધ લેવાનું બંધ કરી દીધું છે. તેમણે કહ્યું કે ઘણા લોકોને લાગે છે કે મોંઘવારી આપોઆપ વધી રહી છે, પરંતુ હકીકતમાં તો ભાજપ અને કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેક્સને કારણે આ થઈ રહ્યું છે.
કેજરીવાલે કહ્યું કે આઝાદીના 75 વર્ષોમાં દહીં, લસ્સી, છાશ, ઘઉં, ચોખા પર ટેક્સ લાદવામાં આવ્યો ના હતો. અંગ્રેજોએ પણ તેના પર ટેક્સ લગાવ્યો ન હતો. એટલું જ નહીં, મારા ગુજરાતના મિત્રો કહેતા હતા કે તેઓએ ગરબા નૃત્ય પર પણ ટેક્સ લગાવ્યો છે, ગરબા તો માતાજીની આરાધના છે અને ભાજપે તેમને પણ છોડ્યા નથી.
સીએમ કેજરીવાલે કહ્યું કે સવાલ એ છે કે ટેક્સના કારણે તેમની પાસે જે અબજો અને ટ્રિલિયન રૂપિયા આવી રહ્યા છે, આ પૈસા ક્યાં જાય છે ? સીએમએ કહ્યું કે ભાજપના કેટલાક ટ્રિલિયોનેર મિત્રો છે, તેઓએ બેંકોમાંથી હજારો કરોડની લોન લીધી છે. હવે લોન લીધા પછી તેમના મિત્રોની દાનત બગડી ગઈ છે. તેમણે જઈને કહ્યું કે અમારી બેંકોની લોન માફ કરો, પછી તેમણે 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી.
તેમણે કહ્યું કે ખેડૂત ઠેર ઠેર ઠોકર ખાઈ રહ્યો છે, પરંતુ તેની લોન માફ કરાતી નથી, જો ખેડૂત હપ્તો ના ભરે તો, તેઓ હપ્તા વસૂલવા માટે ઘરે આપી પહોચે છે. મધ્યમ વર્ગનો માણસ તેની કારનો એક હપ્તો ના આપે, તો તેને પણ છોડતા નથી.