હવે સીમા પર સાપ અને મગર રાખશે નજર! બાંગ્લાદેશ બોર્ડર પર ઘૂસણખોરોનો કાળ બનશે BSFનો આ ‘ખતરનાક’ પ્લાન
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર ઘૂસણખોરી રોકવા માટે હવે માત્ર સૈનિકો જ નહીં, પરંતુ ઝેરીલા સાપ અને ખૂંખાર મગર પણ તૈનાત થઈ શકે છે. જાણો શું છે BSFનો આ સસ્પેન્સથી ભરેલો પ્લાન.

ભારતની સરહદો પર અત્યાર સુધી તમે અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ જવાનો અને લેસર ટેકનોલોજી વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે સાંભળીને ઘૂસણખોરોના રુંવાડા ઉભા થઈ જશે. સીમા સુરક્ષા બળ (BSF) બાંગ્લાદેશ સરહદે ઘૂસણખોરી અને તસ્કરીને જડબાતોડ જવાબ આપવા માટે એક એવા ‘કુદરતી હથિયાર’નો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે, જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય.
શું છે આ અનોખો પ્લાન?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત-બાંગ્લાદેશ સીમા પર આવેલા નદીઓ અને દલદલવાળા વિસ્તારોમાં BSF હવે સાપ અને મગરોને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. આ પ્લાન પાછળનો મુખ્ય હેતુ એવા વિસ્તારોમાં સુરક્ષા મજબૂત કરવાનો છે જ્યાં જમીની કાંટાળી વાડ લગાવવી લગભગ અશક્ય છે.
કેમ પડી આની જરૂર?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અંદાજે 4,096 કિલોમીટર લાંબી સરહદમાં લગભગ 175 કિલોમીટરનો હિસ્સો નદીઓ, નાળાઓ અને કાદવ-કીચડવાળા વિસ્તારોથી ભરેલો છે. આવા સ્થળોએ ભૌતિક વાડ ટકી શકતી નથી, જેનો ફાયદો ઉઠાવીને તસ્કરો અને ઘૂસણખોરો ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા હોય છે. આ પડકારને પહોંચી વળવા માટે હવે ‘નેચરલ બેરિયર’ એટલે કે કુદરતી અવરોધ તરીકે આ જીવોનો ઉપયોગ કરવાની ચર્ચા ચાલી રહી છે.
શું આ યોજના ખરેખર લાગુ થશે?
રિપોર્ટ્સ મુજબ, BSFના ઉચ્ચ અધિકારીઓએ એવા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે જ્યાં આ યોજના અમલમાં મૂકી શકાય. જોકે, આ પ્રસ્તાવ હાલમાં માત્ર ચર્ચાના સ્તરે છે અને હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ જો આ પ્લાન સફળ રહ્યો, તો ઘૂસણખોરો માટે ભારતની સરહદમાં પગ મૂકવો એ મોતના મુખમાં જવા સમાન બની રહેશે.
ટેકનોલોજી અને સુરક્ષાનું મિશ્રણ
માત્ર પ્રાણીઓ જ નહીં, BSF પોતાની દેખરેખને વધુ સચોટ બનાવવા માટે હાઈ-ટેક ગેજેટ્સનો પણ સહારો લઈ રહ્યું છે:
- ડ્રોન દેખરેખ: આકાશમાંથી દરેક હિલચાલ પર નજર.
- સ્માર્ટ સેન્સર્સ: જમીન કે પાણીમાં થતી સહેજ પણ હલચલની તુરંત જાણ.
- નાઇટ વિઝન કેમેરા: અંધારાનો ફાયદો ઉઠાવતા ગુનેગારોને પકડવા માટે.
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં BSFએ એક કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ સાથે એક તસ્કરને ઝડપી પાડ્યો હતો. આવી ઘટનાઓ પર કાયમી લગામ લગાવવા માટે BSF હવે આકરા અને આધુનિક રસ્તાઓ અપનાવી રહ્યું છે.
હવે જોવાનું એ રહેશે કે શું આગામી દિવસોમાં ગંગા અને બ્રહ્મપુત્રાના પાણીમાં તૈનાત મગરમચ્છો દેશની સરહદોના નવા રખેવાળ બનશે?
