Breaking News: સોનમ વાંગચુકે કર્યા પારણા, 26 દિવસ બાદ તોડ્યો ઉપવાસ, પેપર લીક સામે કડક કાયદાની PM મોદીએ કરી જાહેરાત
સોનમ વાંગચુક ઘણા દિવસોથી ઉપવાસ પર હતા. બુધવારે, વિરોધ પક્ષોના એક પ્રતિનિધિમંડળે તેમની સાથે મુલાકાત કરી અને તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી.

26 દિવસથી અનિશ્ચિત ભૂખ હડતાળ પર રહેલા સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકે આખરે પોતાનો ઉપવાસ સમાપ્ત કર્યો છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે લાંબી ચર્ચા બાદ વાંગચુકે ઉપવાસ તોડવાનો નિર્ણય લીધો. આ પહેલાં વિરોધ પક્ષોના 65 જેટલા સાંસદો અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ તેમની મુલાકાત લઈને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી હતી.
સરકારના આશ્વાસન બાદ લીધો નિર્ણય
સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને દેશના હિતને ધ્યાનમાં રાખીને તેમણે ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે સરકાર તરફથી કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર હકારાત્મક ખાતરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેઓ સમગ્ર મામલે વિગતવાર માહિતી આપશે. સાથે જ તેમણે દેશભરના લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની હિંસા ટાળવાની અપીલ કરી છે.
જંતર-મંતર પરના પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી નહીં
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે સરકાર જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરનારા લોકો અને 20 જુલાઈના રોજ સંસદ તરફ કૂચમાં જોડાયેલા લોકો સામે કેસ ન કરવાની દિશામાં સકારાત્મક અભિગમ ધરાવે છે. ઉપરાંત, પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે સંસદમાં ચર્ચા કરાવવાની પણ ખાતરી આપવામાં આવી છે.
Activist Sonam Wangchuk tweets, “Just now in the presence of Union Ministers JP Nadda & Dr. Jitendra Singh and the senior leaders of Apex Body of Leh Ladakh I finally broke my fast after 26 days. Earlier 65 in members of parliament from different political parties had visited or… pic.twitter.com/tm8SorZB51
— ANI (@ANI) July 23, 2026
NEET પેપર લીકથી પ્રભાવિત પરિવારોને સહાય પર વિચાર
સરકારે NEET પેપર લીક પ્રકરણને લઈને આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવાના મુદ્દે પણ સકારાત્મક વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું છે. સરકાર શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા અને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા માટે સુધારાત્મક પગલાં લેવા તૈયાર હોવાનું પણ જણાવ્યું.
પીએમ મોદીની મોટી જાહેરાત
ઉપવાસ સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ જાહેર કરીને સોનમ વાંગચુકને ડૉક્ટરોની સલાહ મુજબ આરોગ્યનું ધ્યાન રાખવા અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી છે અને સરકાર તેના સામે વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરશે. વડાપ્રધાને જાહેરાત કરી કે શુક્રવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં પેપર લીક અટકાવવા માટે વધુ કડક પગલાં અને નવા કાયદા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનામાં પેપર લીકના અનેક આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.
આ પણ વાંચો- 130થી વધુ ફિલ્મો, છૂટાછેડા લીધેલી અભિનેત્રી સાથે લગ્ન કર્યા, આવો છે બોલિવુડના શ્રેષ્ઠ વિલનનો પરિવાર
