Breaking News: ભારતે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલ કરી બ્લોક
પાકિસ્તાન સામે ભારતે ડિજિટલ સ્ટ્રાઈક કરતા અનેક ક્રિકેટર્સ અને એક્ટર્સની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક કરી છે. આ લિસ્ટમાં હવે પાકિસ્તાનના PM શાહબાઝ શરીફનું નામ પણ ઉમેરાઈ ગયુ છે. ભારતે શાહબાઝ શરીફની ઓફિશ્યિલ યુટ્યુબ ચેનલને ભારતમાં બ્લોક કરી છે.

જમ્મુકાશ્મીરમાં પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ બનેલો છે. આ ઘટનાક્રમ વચ્ચે મોદી સરકારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની સત્તાવાર યુટ્યુબ ચેનલને ભારતમાં બ્લોક કરી દીધી છે. આ સાથે ભારત સરકારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ(?), રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી, મરિયમ નવાઝ, બિલાવલ ભુટ્ટો સહિત પાકિસ્તાનના અનેક નેતાઓ અને મંત્રીઓના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દીધા છે.
ભારતે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ, હારિસ રઉફ, મોહમ્મદ રિઝવાન અને શાહીન અફરીદીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરી દીધા છે. ભારતમાં આ ખેલાડીઓના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરનારને આ સંદેશ મળી રહ્યો છે. ભારતમાં આ એકાઉન્ટ ઉપલબ્ધ નથી. કાયદાકીય અનુરોધ બાદ આ નિર્ણય લેવાયો છે.
આ પાકિસ્તાની ખેલાડીઓ-એક્ટર્સ પર ભારતની ડિજિટલ સ્ટ્રાઈક
પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર, બાસિત અલી અને શાહીદ અફરિદીના યુટ્યુબ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવાયા છે. જો કે શહીદ આફ્રિદી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હજુ ઉપલબ્ધ છે. પાકિસ્તાની અભિનેતા અલી ઝફર, માહિરા ખાનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પણ ભારતમાં બ્લોક કરી દેવાયા છે. આ સાથે જ ભાલા ફેંક ખેલાડી (જેવલિન થ્રોઅર) અરશદ નદીમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કરી દેવાયુ છે.
ભ્રામક કન્ટેન્ટને પગલે યુટ્યુબ ચેનલને કરાઈ બ્લોક
ભારત દ્વારા પ્રતિબંધિત પ્લેટફોર્મમાં પાકિસ્તાનની અગ્રણી ન્યૂઝ ચેનલો ડોન, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, બોલ ન્યૂઝ, રફ્તાર, જીઓ ન્યૂઝ અને સુનો ન્યૂઝની યુટ્યુબ ચેનલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પત્રકારો ઇર્શાદ ભટ્ટી, અસ્મા શિરાઝી, ઉમર ચીમા અને મુનીબ ફારૂકની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ધ પાકિસ્તાન રેફરન્સ, સમા સ્પોર્ટ્સ, ઉઝૈર ક્રિકેટ અને રાજી નામા જેવા યુટ્યુબ હેન્ડલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને કડક સજા આપવાનો દૃઢ સંકલ્પ જાહેર કર્યો છે. તેમણે આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતાઓને તેમણે કલ્પના પણ ન કરી હોય તેની બહારની સજા આપવાની વાત કરી. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આતંકવાદીઓને વીણી-વીણીને મારવાની વાત કહી ચુક્યા છે.
પાકિસ્તાને ભારતીય ગીતોનું પ્રસારણ કર્યુ બંધ
પાકિસ્તાનના એફએમ રેડિયો સ્ટેશનોએ ભારતીય ગીતોનું પ્રસારણ બંધ કર્યુ છે.. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ તણાવભરી સ્થિતિને જોતા પાકિસ્તાન દ્વારા આ પગલુ લેવામાં આવ્યુ છે. ખાસ કરીને લતા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોર કુમાર અને મુકેશ જેવા મહાન ગાયકોના ગીતો, પાકિસ્તાનીઓમાં ઘણા લોકપ્રિય છે અને અહીંના એફએમ રેડિયો સ્ટેશનો પર દરરોજ વગાડવામાં આવે છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો