Baramulla Encounter: બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, AK-47 રાઈફલ સહિત હથિયારો મળ્યાં
આજે ગુરુવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી છે. ગુરુવારે વહેલી સવારે બારામુલ્લાના વાનીગામ પાયેન ક્રિરી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોને બાતમી મળી હતી કે આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે. આ પછી, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. શોધખોળ દરમિયાન જ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું છે કે, બારામુલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને એક પિસ્તોલ મળી આવી છે. આ ઉપરાંત તેમની પાસેથી વાંધાજનક સામગ્રી, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. હાલમાં આ વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને કોઈને પણ અવર-જવર કરવા દેવામાં આવી રહી નથી. આ વિસ્તારમાં સુરક્ષાદળોની હાજરી પણ વધારી દેવામાં આવી છે.
ADGP કાશ્મીરે જણાવ્યું કે માર્યા ગયેલા બંને આતંકવાદીઓ સ્થાનિક છે. આ બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ શાકિર માજિદ નઝર અને હનાન અહેમદ શેહ તરીકે થઈ છે. આ બંને શોપિયાંના રહેવાસી છે. બંને માર્ચ 2023માં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા.
સુરક્ષા દળોને જોઈને ફાયરિંગ શરૂ કર્યું
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે સુરક્ષાદળો સર્ચ ઓપરેશન માટે વિસ્તારમાં પહોંચ્યા તો આતંકીઓ તેમને જોઈને ડરી ગયા. તેઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. આ પછી સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને આતંકવાદીઓની હત્યા અને તેમની પાસેથી હથિયારો મળી આવવાની માહિતી આપી હતી. હાલમાં પરિસ્થિતિને સ્થિર કરવા માટે આ વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
કુપવાડામાં પણ એન્કાઉન્ટર થયું હતું
બુધવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં પણ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર કર્યા હતા. સંરક્ષણ જનસંપર્ક અધિકારી (PRO) શ્રીનગરે જણાવ્યું કે SSP કુપવાડાએ માહિતી આપી હતી કે આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે એલઓસી દ્વારા આતંકવાદી લોન્ચ પેડ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી રહી છે. આ જ કારણ હતું કે સેનાના જવાનો 1 મેથી એલર્ટ મોડમાં હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…