Rahul Gandhi: રાહુલ ગાંધીની વધુ એક જીત, 12 તુઘલક લેન ખાતેનો સરકારી બંગલો પાછો મળ્યો
રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુજરાતની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ માર્ચમાં સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી.

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. સાંસદ તરીકે સદસ્યતા પરત મળ્યા બાદ તેમને 12 તુઘલક લેન બંગલો પાછો મળ્યો છે. રાહુલ પહેલા આ બંગલામાં રહેતા હતા. લોકસભાની ગૃહ સમિતિએ રાહુલને બંગલો ફાળવ્યો છે. બંગલો પાછો મેળવ્યા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મારું ઘર આખું ભારત છે. રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ 22 એપ્રિલ 2023ના રોજ બંગલો ખાલી કર્યો હતો.
માનહાનિના કેસમાં ગુજરાતની કોર્ટે દોષિત ઠેરવ્યા હતા
રાહુલ ગાંધીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનની ચાવી પરત કરતા કહ્યું હતું કે, તેઓ સત્ય બોલવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. બે દાયકાથી પોતાના કબજામાં રહેલો બંગલો ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમણે સત્ય બોલવાની કિંમત ચૂકવી છે. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું. રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુજરાતની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ માર્ચમાં સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી.
કેરળની વાયનાડ બેઠક પરથી 2019માં ચૂંટણી જીત્યા
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહેલીવાર 2004માં ઉત્તર પ્રદેશના અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ આ બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહ્યા હતા. તેમણે કેરળની વાયનાડ બેઠક પરથી 2019માં ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચો : અવિશ્વાસના પ્રસ્તાવ મુદ્દે કોંગ્રેસની આક્રમક શરૂઆત, મણિપુર મુદ્દે પીએમ મોદી રાજધર્મ બજાવે
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રાહુલ ગાંધી માટે લોકસભામાં પરત ફરવાનો માર્ગ પણ સાફ થયો છે. લોકસભા સચિવાલયે સોમવારે તેમને સાંસદ પદ પર પુનઃસ્થાપિત કર્યા. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી સરકાર વિરુદ્ધ વિપક્ષનું નેતૃત્વ કરશે તેવી અટકળો ચાલી રહી હતી. તેઓ આજે (મંગળવારે) લોકસભામાં ચર્ચા દરમિયાન બોલ્યા ન હતા. કોંગ્રેસ વતી સાંસદ ગૌરવ ગોગોઈએ વિપક્ષ વતી ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધી સોમવારે સંસદ ભવન પહોંચ્યા હતા
રાહુલ ગાંધી લગભગ સાડા ચાર મહિના સુધી સંસદથી દૂર રહ્યા. લોકસભા સચિવાલયની સૂચનાના થોડા જ કલાકોમાં તેઓ સોમવારે સંસદ ભવન પહોંચ્યા, જ્યાં વિપક્ષી સભ્યોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. લોકસભા સચિવાલયે નોટિફિકેશનમાં કહ્યું, 4 ઓગસ્ટના સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને, રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવા સંબંધિત 24 માર્ચના નોટિફિકેશનનો અમલ આગામી ન્યાયિક નિર્ણય સુધી રોકી દેવામાં આવ્યો છે.