મનીષ સિસોદિયા સામે વધુ એક મુશ્કેલી, આસામની કોર્ટે હાજર થવા કર્યો હુકમ
દિલ્લીમાં કથિત દારૂ કૌભાંડ મામલે CBI તપાસમાં ઘેરાયેલા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધુ એક મામલામાં વધી શકે છે. આસામની કોર્ટે મનીષ સિસોદિયાને 29 સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યા છે.
દિલ્લીમાં કથિત દારૂ કૌભાંડ મામલે CBI તપાસમાં ઘેરાયેલા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની (Manish Sisodia) મુશ્કેલીઓ વધુ એક મામલામાં વધી શકે છે. કામરૂપની CJM કોર્ટે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં (Defamation cases) મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું છે. તેમને 29 સપ્ટેમ્બરે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ 30 જૂનના રોજ કામરૂપ (ગ્રામીણ) સીજેએમ કોર્ટમાં મનીષ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો ફોજદારી કેસ દાખલ કર્યો હતો. સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે આસામ સરકારે સરમાની પત્નીની કંપની પાસેથી માર્કેટ રેટ કરતાં વધુ કિંમતે PPE કિટ ખરીદી હતી. તેમણે દાવો કર્યો હતો કે આસામ સરકારે અન્ય કંપનીઓ પાસેથી 600 રૂપિયાના દરે PPE કિટ ખરીદી હતી, જ્યારે સરમાએ તેમની પત્ની અને પુત્રની માલિકીની કંપનીને PPE કિટ માટે 990 રૂપિયા ચૂકવ્યા હતા. મનીષ સિસોદિયાએ 4 જૂને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ આરોપો લગાવ્યા હતા.
આસામના મુખ્યપ્રધાન પહેલા તેમની પત્ની રિંકી ભુઈયા સરમાએ પણ સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગૌહાટી કામરૂપ સિવિલ જજની કોર્ટમાં માનહાનિનો સિવિલ કેસ દાખલ કરતી વખતે તેણે નુકસાની તરીકે 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. રિંકી ભૂંયા અને હિમંતા બિસ્વા સરમાએ સિસોદિયાના આરોપોને નકારી કાઢ્યા અને તેમને ખોટા ગણાવ્યા.
એક પછી એક મુશ્કેલી
સિસોદિયા વિરુદ્ધ આ સમન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તેઓ પહેલાથી જ દિલ્લીમાં દારૂની એકસાઈઝ નીતિથી ઘેરાયેલા છે. સિસોદિયા, જેમની પાસે શિક્ષણની સાથે એક્સાઇઝ વિભાગ પણ છે, તેઓ CBI તપાસનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ સીબીઆઈએ તેમના ઘરે પણ દરોડા પાડ્યા છે. જો કે મનીષ સિસોદિયાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કેજરીવાલની વધતી જતી લોકપ્રિયતાને કારણે ભાજપ આવા આરોપો લગાવી રહી છે. જો કે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ભાજપના એક નેતાએ તેમને ફોન કરીને આમ આદમી પાર્ટી તોડીને ભાજપમાં જોડાઈ જવા કહ્યું હતું. જો મનીષ સિસોદીયા ભાજપમાં જોડાઈ જાય તો તેમની સામે સીબીઆઈ અને ઈડી દ્વારા જે કોઈ તપાસ કરવામાં આવે છે તે બંધ કરી દેવાશે તેમ દાવો કર્યો હતો.