રસ્તા પર ‘રેસલિંગ’ બાદ સરકાર હવે પલટવારના મૂડમાં ! તમામ આક્ષેપોથી કર્યો ફેડરેશન પ્રમુખે ઈન્કાર
કેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે જો WFI આગામી ત્રણ દિવસમાં કોઈ પગલાં નહીં લે તો રમત મંત્રાલય રાષ્ટ્રીય રમત સંહિતા, 2011 હેઠળ ફેડરેશન સામે પગલાં લેશે. પૂર્વ કુસ્તીબાજ બબીતા ફોગાટ વિરોધ કરી રહેલા ખેલાડીઓને મળવા પહોંચી હતી, જે સરકાર અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહી છે
#MeeToo આરોપોનો સામનો કરી રહેલા ભાજપના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે તેમના પર જે પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે ‘રાજકીય ષડયંત્ર’નો ભાગ છે. આરોપોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે ‘આ મારી વિરુદ્ધ રાજકીય કાવતરું છે’. આ ષડયંત્ર દ્વારા મહિલા કુસ્તીબાજો અને રમત-ગમતને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ સાથે તેમણે કહ્યું કે, તેઓ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરશે અને તમામનો પર્દાફાશ કરશે.
દેશના પ્રખ્યાત કુસ્તીબાજ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સહિત અન્ય ઘણા કુસ્તીબાજોના દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે. તેઓ WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા છે. મહિલા રેસલર્સે બીજેપી સાંસદ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાડ્યો છે. દરમિયાન, ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ વિરોધ કરી રહેલા ખેલાડીઓને મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરોધ સમાપ્ત કરવાની અપીલ કરી હતી.
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર કુસ્તીબાજોને મળ્યા હતા
બ્રિજ ભૂષણ પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જેના પર બધાની નજર ટકેલી છે. ખેલાડીઓ સંપૂર્ણ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને મીડિયા અહેવાલો અનુસાર, જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ વિરોધ સમાપ્ત કરશે નહીં. અગાઉ, કેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે જો WFI આગામી ત્રણ દિવસમાં કોઈ પગલાં નહીં લે તો રમત મંત્રાલય રાષ્ટ્રીય રમત સંહિતા, 2011 હેઠળ ફેડરેશન સામે પગલાં લેશે.
બબીતા ફોગાટ મધ્યસ્થી બની હતી
આ દરમિયાન બીજેપી નેતા અને પૂર્વ કુસ્તીબાજ બબીતા ફોગાટ વિરોધ કરી રહેલા ખેલાડીઓને મળવા પહોંચી હતી, જે સરકાર અને વિરોધ કરી રહેલા કુસ્તીબાજો વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર તેમની સાથે છે અને તેમની જે પણ માંગણીઓ છે તે પૂરી કરવામાં આવશે. બાદમાં તેમણે કહ્યું કે સરકાર તેમની સાથે છે અને અમે ખાતરી કરી રહ્યા છીએ કે તેમની સમસ્યાઓ આજે (ગુરુવારે) ઉકેલાય.