કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, ટ્વિટર પરથી BBCની ‘પ્રોપેગન્ડા ડોક્યુમેન્ટ્રી’ની ટ્વીટ હટાવા આપ્યો આદેશ
બીબીસી ડોક્યૂમેન્ટ્રી શેયર કરતી ટ્વિટને બ્લોક કરવાનો આદેશ હાલમાં કેન્દ્ર સરકારે આપ્યો છે. બીબીસીની ગુજરાત રમખાણોવાળી ડોક્યૂમેન્ટ્રીની યૂટ્યૂબ લિંકને શેયર કરનાર ટ્વિટને બ્લોક કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે વડાપ્રધાન મોદીની આલોચના કરતી બીબીસી ડોક્યૂમેન્ટ્રીને યૂટયૂબ પરથી હટાવ્યા બાદ બીજી એક મોટી કાર્યવાહી કરી છે. બીબીસી ડોક્યૂમેન્ટ્રી શેયર કરતી ટ્વિટને બ્લોક કરવાનો આદેશ હાલમાં કેન્દ્ર સરકારે આપ્યો છે. બીબીસીની ગુજરાત રમખાણોવાળી ડોક્યૂમેન્ટ્રીની યૂટ્યૂબ લિંકને શેયર કરનાર ટ્વિટને બ્લોક કરવામાં આવી રહી છે. આ માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. સૂત્રો અનુસાર ભારતના સૂચના પ્રસારણ મંત્રાયલએ આ નિર્દેશ આપ્યા છે.
ડોક્યુમેન્ટ્રીના પહેલા એપિસોડના વીડિયો કે લીંક જે પણ ટ્વીટર પર શેયર કર્યા હોય તેના ટ્વિટ બ્લોક કરવામાં આવશે. આ આદેશ બાદ “ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન” શીર્ષકવાળી ડોક્યુમેન્ટરીના કેટલાક ટ્વીટ્સ અને યુટ્યુબ વીડિયો હવે માઇક્રોબ્લોગિંગ અને વીડિયો-શેરિંગ વેબસાઈટ પર દેખાતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આઈટી નિયમો 2021 હેઠળ ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને આ આદેશ આપવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
BBCની ડોક્યુમેન્ટ્રીનો પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીના રોજ ટેલિકાસ્ટ થયો હતો. આ એપિસોડનું નામ ‘ધ મોદી કૈશ્વન’ હતું. તે યૂટયૂબ પર રિલીઝ થયું, તેના બીજા જ દિવસે તેને ભારત સરકારે હટાવી દીધી હતી. તેનો બીજો એપિસોડ 24 જાન્યુઆરીના રોજ ટેલિકાસ્ટ થવાનો હતો.
આ એપિસોડના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ ડોક્યુમેન્ટ્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવને દર્શાવે છે. સાથે જ લખ્યું હતું કે તે 2002ના રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાના દાવાઓની પણ તપાસ કરે છે. જણાવી દઈએ કે, ગુજરાત રમખાણોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી હતી.
302 પ્રતિષ્ઠિત નાગરિકોનો BBC વિરુદ્ધ પત્ર
દેશના કુલ 302 પ્રતિષ્ઠિત નાગરિકોએ BBC વિરુદ્ધ પત્ર લખી પોતાના હસ્તાક્ષર કર્યા છે. આ 302 લોકોમાં 13 રિટાયર્ડ જજ, 133 રિટાયર્ડ બ્યૂરોક્રેટ્સ, 33 રાજદૂત અને 156 રિટાયર્ડ સૈન્ય અધિકારીઓ પણ સામેલ છે. 17 જાન્યુઆરીના દિવસે રિલીઝ થયેલી આ ડોક્યુમેન્ટ્રીને ભારત સરકારે યૂટ્યૂબથી હટાવી દીધી હતી.
302 લોકોએ આ ડોક્યૂમેન્ટ્રીને દૂષિત માનસિકતા માની છે અને કહ્યું છે કે, નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો પર બનેલી આ ડોક્યુમેન્ટ્રી એકતરફા છે. 17 જાન્યુઆરીએ તેનો પ્રથમ એપિસોડ રિલીઝ થયો હતો, ભારત સરકારે જણાવ્યું હતું કે, ડોક્યૂમેન્ટ્રીની વડાપ્રધાન મોદી અને દેશ વિરુદ્ધનો પ્રોપેગેન્ડા છે. 13 રિટાયર્ડ જજ સહિત 302 પ્રતિષ્ઠિત લોકોએ વડાપ્રધાન મોદીના સમર્થનમાં આ પત્ર પર સાઈન કરી હતી.