Carry Bag બદલ ગ્રાહક પાસે વસૂલ્યા હતા 4 રૂપિયા, હવે 2 વર્ષ બાદ સુપર માર્કેટે વ્યાજ સમેત આપવું પડશે રિફંડ
કમિશને આદેશમાં કહ્યું કે Easyday એ ફરિયાદના દિવસથી 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે ગ્રાહકને 4 રૂપિયા પરત કરવાના રહેશે. આ સાથે તેણે ફરિયાદીને 1000 રૂપિયાનું વળતર પણ ચૂકવવું પડશે.
લુધિયાણા, પંજાબમાં, (Ludhiana, Punjab) ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને ઋષિનગર સ્થિત ઇઝીડે સુપરમાર્કેટને (EasyDay Super Market) ફરિયાદીને કેરી બેગ માટે વસૂલવામાં આવેલા રૂ. 4 અને વળતર તરીકે રૂ. 1,000 પરત કરવા જણાવ્યું છે. ફરિયાદી મનુ કુમારે EasyDay પર “ખોટી વ્યવસાય પ્રથા” કરવાનો આરોપ મૂક્યો હતો. 15મી મે 2019 ના રોજ, કુમારે સ્ટોરમાંથી 120 રૂપિયાની ત્રણ વસ્તુઓ ખરીદી હતી. જોકે, ગ્રાહક દ્વારા પૂછવામાં ન આવ્યું હોવા છતાં ઇઝીડેએ કેરી બેગ માટે રૂ. 4 વસૂલ્યા હતા.
રિફંડની માંગણી સાથે ફરિયાદીએ વળતરની 15,000ની રકમ અને 15,000 કાયદેસરના ખર્ચની પણ માંગણી કરી હતી. જો કે, EasyDayએ આનો વિરોધ કર્યો હતો અને ફરિયાદને રદ કરવાની માંગ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે ફરિયાદીને કેશિયરના કાઉન્ટર પર કહેવામાં આવ્યું હતું કે જો તે સ્ટોરમાંથી કેરી બેગ લેશે તો તેણે રૂ.4 ચૂકવવા પડશે.
EasyDay એ પણ કહ્યું કે આનાથી ગ્રાહકો પોતાની બેગ લાવવા પ્રોત્સાહિત થાય છે અને પ્લાસ્ટિકનો કચરો ઓછો થાય છે. EasyDay એ આરોપોને ફગાવી દીધા અને કમિશનને કહ્યું, “ફરિયાદીએ જૂઠું બોલ્યું કે કેરી બેગની કિંમત તેની સંમતિ વિના ખરીદેલી વસ્તુઓની કિંમતો સાથે જોડી દેવામાં આવી હતી.”
આના પર, કમિશને કહ્યું કે ફરિયાદીને ખરીદેલા સામાન માટે કેરી બેગ પર 4 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. કમિશને કહ્યું કે, “તે વસ્તુઓ કેરી બેગ વિના લઈ જઈ શકાતી નથી. ફરિયાદીને એન્ટ્રી વખતે અથવા સ્ટોરમાં ક્યાંય પણ જાણ કરવામાં આવી ન હતી કે તેણે કેરી બેગ માટે વધારાના પૈસા ચૂકવવા પડશે. તેથી, તે અન્ય પક્ષ તરફથી અયોગ્ય વેપાર પ્રથા છે.”
કમિશને આદેશમાં કહ્યું કે Easyday એ ફરિયાદના દિવસથી 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે ગ્રાહકને 4 રૂપિયા પરત કરવાના રહેશે. આ સાથે તેણે ફરિયાદીને 1000 રૂપિયાનું વળતર પણ ચૂકવવું પડશે.
નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (NCDRC) એ ગયા વર્ષે એક નિર્ણયમાં કહ્યું હતું કે કેરી બેગની કિંમત સામાન પહેલાં ગ્રાહકોને જણાવવી જોઈએ. એવું ન થવું જોઈએ કે જ્યારે ગ્રાહક બિલ ભરવા માટે આવે ત્યારે તે સમયે કેરી બેગની કિંમત અલગથી વસૂલવામાં આવે. કમિશને આવી પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા સૂચના આપી હતી.
આ પણ વાંચો – Afghanistan : જનતાના એક- એક દાણા માટે વલખા ! તાલિબાન PM એ કહ્યું ‘આર્થિક સંકટ માટે અમારી સરકાર જવાબદાર નથી’