હિમાચલમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં 205 લોકોએ જીવ ગુમાવ્યા, જાણો કેટલા લોકો ગુમ થયા
રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસા (Monsoon)સંબંધિત ઘટનાઓમાં 120 પશુઓના પણ મોત થયા હતા, 95 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું હતું અને 335 મકાનોને આંશિક નુકસાન થયું હતું.
હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) છેલ્લા દોઢ મહિનામાં ચોમાસા દરમિયાન ઓછામાં ઓછા 205 લોકોએ જીવ ગુમાવ્યા અને સાત લોકો ગુમ થયા. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management)ડિરેક્ટર સુદેશ કુમાર મોખ્તાએ ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે 29 જૂનથી રાજ્યને રસ્તાઓ, પાણીની લાઈનો અને પાવર ટ્રાન્સમિશન સિસ્ટમને નુકસાન થવાથી કુલ રૂ. 1,014.08 કરોડનું નુકસાન થયું છે. આ ચોમાસાની સિઝનમાં 29 જૂનથી 16 ઓગસ્ટ સુધીમાં, 35 અકસ્માતોમાં ઓછામાં ઓછા 103 લોકોએ જીવ ગુમાવ્યા હતા, અને વૃક્ષો અને ખડકો પડવાના અનેક બનાવોમાં 33 લોકોના મોત થયા હતા.
મોક્તાએ જણાવ્યું હતું કે છ ઘટનાઓમાં 25 લોકો ડૂબી ગયા, ભૂસ્ખલનની 48 ઘટનાઓમાં સાત લોકોના મોત થયા અને આ સમયગાળા દરમિયાન અચાનક પૂરની 51 ઘટનાઓ બની જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા.
આ ઉપરાંત, રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસા સંબંધિત ઘટનાઓમાં 120 પ્રાણીઓના પણ મોત થયા હતા, 95 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું હતું અને 335 મકાનોને આંશિક નુકસાન થયું હતું.
બુધવારે માતા અને બાળકનું મૃત્યુ થયું હતું
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનામાં એક મહિલા અને તેના બાળકનું મોત થયું છે અને અન્ય બે ઘાયલ થયા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે આ માહિતી આપી છે.
વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે ચંબા જિલ્લાના હડસરના ઉપરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. ઘાયલોને ભરમૌર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અન્ય વિગતોની રાહ જોવાઈ રહી છે.