દશેરાની રેલીમાં અસલી શિવસેનાને લઈ ઉદ્ધવ અને શિંદે વચ્ચે વાકયુદ્ધ, ભાષણમાં જોવા મળ્યા વાર અને પલટવાર
શિવાજીપાર્ક ખાતે યોજાયેલી દશેરા રેલીમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray and CM Eknath Shinde) વચ્ચે ભારે વાકયુદ્ધ જાવા મળ્યુ હતું, વાર પલટવારની આ રમતમાં કટ્પ્પાથી લઈને પિતાને ચોરવા વાળા સુધીના શિરપાવ એકબીજાને આપવામાં આવ્યા હતા. અસલી શિવસેના કોની મુદ્દાએ હવે મહારાષ્ટ્રના રાજકારણને ગરમ કરી નાખ્યુ છે.
શિવસેના(Shivsena)ના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈમાં એક સાથે બે દશેરા રેલી(Dussehra ralley) જોવા મળી. શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે (Uddhav Thackeray and CM Eknath Shinde)એ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં રેલીને સંબોધી હતી. આ દરમિયાન બંને વચ્ચે પરસ્પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સીએમ એકનાથ શિંદેએ પણ ઠાકરેના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. રેલીમાં ઠાકરેએ શિંદેની સરખામણી કટપ્પા સાથે કરી હતી. એટલું જ નહીં, તેમણે કાચંડો, દેશદ્રોહી અને પિતાને ચોરવા વાળા સુધી કહી નાખ્યુ.
સીએમ એકનાથ શિંદેએ ઠાકરેના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. શિંદેએ ઠાકરેને બાળાસાહેબના મૂલ્યો સાથે દ્રોહી ગણાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમણે પીએમના ફોટા દ્વારા સીએમની ખુરશી માટે વોટ માંગ્યા અને બાળાસાહેબના વિચારો છોડી દીધા. એટલું જ નહીં શિંદેએ એમ પણ કહ્યું કે ઠાકરેએ બાળાસાહેબના વિચારો સાથે દગો કર્યો છે. રેલીમાં ઠાકરે અને શિંદેના ટશનની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં તેજ બની છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.
જાણો વાર-પલટવારમાં ઠાકરે-શિંદેની ટક્કર
ઉદ્ધવનો પહેલો હુમલો – બાપની ચોરી કરનારાઓની શું વાત કરું? ન તો પોતાના વિચારો, ન પોતાની સંસ્કૃતિ.
શિંદેનો પલટવાર – અમે બાળાસાહેબના વિચારો અપનાવ્યા છે, તમે તેમના વિચારો વેચ્યા. તમે પિતા વેચવા નીકળ્યા તો સાચો દેશદ્રોહી કોણ?
ઉદ્ધવનો બીજો હુમલો – આ કટપ્પા છે, કારણ કે તેઓ સાથે રહીને શિવસેના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા.
શિંદેનો વળતો પ્રહાર – કટપ્પા સ્વાભિમાની હતા. તમારી જેમ ડબલ નીતિ ધરાવનારા નહી. શિવસેના માટે દિવસ-રાત એક કર્યું. મારા પર 100 કેસ દર્જ છે, તમારા પર કેટલા કેસ છે?
ઉદ્ધવનો ત્રીજો હુમલો- કાચંડાનો પોતાનો કોઈ રંગ નથી હોતો, કાચંડા જેવા લોકો તક જોઈને રંગ બદલી નાખે છે. આવનારી દરેક ચૂંટણીમાં તેમને તેમનું સ્થાન બતાવી દઈશું
શિંદેનો વળતો પ્રહાર – 2019માં મને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત થઈ હતી. મેં વિચાર્યા વગર તમને આગળ કર્યા. ઠાકરે જી અમે ચોડવા વાલા લોકો છીએ પરંતુ તમે મુખ્યમંત્રીની ખુરશી માટે બાળાસાહેબના વિચારો છોડી દીધા.
ઉદ્ધવનો ચોથો હુમલો – જો કોઈ વફાદાર શિવસૈનિક પણ મને બહાર નીકળવાનું કહેતે તો હું પળવારમાં રાજકારણ છોડી દેત. પણ આ દેશદ્રોહીઓનું શું? બીજેપીએ પીઠમાં ખંજર ઘોંપી દીધુ
શિંદેનો વળતો પ્રહાર – અમે દગો કર્યો નથી, અમે બળવો કર્યો છે. અમે ક્રાંતિ કરી છે. તમે બાળાસાહેબના વિચારો સાથે દગો કર્યો. 2019માં પીએમ મોદીની તસવીર બતાવીને વોટ માંગ્યા અને સીએમની ખુરશી પર બેઠા.
ઉદ્ધવનો પાંચમો હુમલો– અમિત શાહ અમને કઈ જમીન બતાવશે?, અમે ધરતીના લોકો છીએ. પહેલા PoKની જમીન ભારત લાવીને બતાવો
શિંદેનો વળતો પ્રહાર – બાળાસાહેબનું સ્વપ્ન કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું હતું, અમિત શાહે તે કર્યું. તમે તેમની સાથે છેતરપિંડી કરી. શાહને તમે અફઝલ ખાન કહીને બોલાવ્યો અને જેમણે બાળાસાહેબ ઠાકરેની ધરપકડ કરી હતી તમે તેમની સાથે ગયા.