ભીમા કોરેગાંવ કેસમાં તપાસ પંચ સમક્ષ હાજર થયા શરદ પવાર, જાણો શું છે સમગ્ર મામલો
શરદ પવાર (Sharad Pawar) મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ હિંસા કેસમાં પોતાનું નિવેદન નોંધાવા માટે મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે. આ પહેલા તેમણે એક એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો.
એનસીપીના પ્રમુખ શરદ પવાર (NCP Chief Sharad Pawar) ભીમા કોરેગાંવ કેસમાં (Bhima Koregaon Case) ન્યાયિક તપાસ પંચ સમક્ષ હાજર થવા મુંબઈના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે. માહિતી અનુસાર, શરદ પવારને જાન્યુઆરી 2018માં મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં વોર મેમોરિયલ ખાતે થયેલી હિંસા સંદર્ભે તેમનું નિવેદન નોંધવા માટે હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. પંચે અગાઉ 2020માં પવારને સમન્સ પાઠવ્યું હતું પરંતુ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે તેઓ પંચ સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. બાદમાં પવારને આ વર્ષે 23 અને 24 ફેબ્રુઆરીએ કમિશન સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું.
શરદ પવારે એમ કહીને નવી તારીખ માંગી હતી કે તેઓ તેમનું નિવેદન નોંધતા પહેલા એક વધારાનું સોગંદનામું દાખલ કરવા માંગે છે. તાજેતરમાં તેમના વતી એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. પંચના વકીલ આશિષ સાતપુતેએ જણાવ્યું કે આ પછી પંચે પવારને સમન્સ પાઠવ્યા હતા. અને તેમને 5 અને 6 મેના રોજ તપાસ પંચ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
પવાર સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પહોંચ્યા
Maharashtra | NCP chief Sharad Pawar arrives at Sahyadri Guest House in Mumbai to appear before the Judicial probe commission in the Bhima Koregaon case pic.twitter.com/hTdOf5bOdB
— ANI (@ANI) May 5, 2022
આ પહેલા પણ દાખલ કરી ચુક્યા છે એફિડેવિટ
પવારે 8 ઓક્ટોબર, 2018ના દિવસે પણ કમિશન સમક્ષ એક એફિડેવિટ દાખલ કરી હતી. ફેબ્રુઆરી 2020 માં, સામાજિક જૂથ વિવેક વિચાર મંચના સભ્ય, સાગર શિંદેએ પંચ સમક્ષ અરજી દાખલ કરી, જેમાં પવાર દ્વારા 2018ની જાતિ હિંસા વિશે મીડિયામાં આપેલા કેટલાક નિવેદનોને પગલે તેમને બોલાવવાની માગ કરી. બે સભ્યોના તપાસ પંચમાં કલકત્તા હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ જે એન પટેલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ સુમિત મલિકનો સમાવેશ થાય છે.
2018 માં થઈ હતી હિંસા
પુણે પોલીસના જણાવ્યા અનુસાર, 1 જાન્યુઆરી, 2018ના રોજ કોરેગાંવ-ભીમાના યુદ્ધની 1818ની લડાઈની 200મી વર્ષગાંઠ દરમિયાન પુણે જિલ્લામાં એક યુદ્ધ સ્મારક નજીક વંશીય જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.
NIA એ દાખલ કરી હતી ચાર્જશીટ
ભીમા કોરોગાંવ હિંસા કેસમાં NIAએ તેની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. એનઆઈએનો આરોપ છે કે એલ્ગાર પરિષદ અને માઓવાદીઓ વચ્ચે સંબંધ છે. NIAએ 16 આરોપીઓ અને છ ફરાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ સાથે NIAએ કહ્યું છે કે આરોપીઓએ સરકાર અને તેના નાગરિકો વિરુદ્ધ ષડયંત્ર રચીને ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે ખતરો ઉભો કર્યો. તેઓ દેશ સામે યુદ્ધ કરીને પોતાની સરકાર ચલાવવા માંગતા હતા.