ફરી નવનીત રાણાની ધરપકડનો મુદ્દો ગરમાયો, સંસદીય સમિતિએ મુંબઈ પોલીસ કમિશનરને મોકલી નોટિસ
Maharahtra : 15 જૂને દિલ્હી(delhi)માં નવનીત રાણા દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર સુનાવણી થવાની છે. નવનીત રાણા(Navneet rana)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોલીસ લોક-અપમાં તેની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું ન હતું.
મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણાની (Navneet Rana) ધરપકડ બાદ રાજકીય માહોલ ગરમયો હતો. સાંસદની ફરિયાદને ધ્યાનમાં લઈને સંસદીય સમિતિએ (Parliamentary Committee) રાજ્યના અધિકારીઓને 15 જૂને દિલ્હીમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જેમાં મહારાષ્ટ્રના ડીજીપી રજનીશ સેઠ ડીજીપી મહારાષ્ટ્ર, મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેનો (Sanjay Pandey Mumbai Police Commissioner) સમાવેશ થાય છે.ભાયખલા જેલના અધિક્ષક યશવંત ભાનુદાસને પણ દિલ્હી આવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં રાજ્યના મુખ્ય સચિવ મનુ કુમાર શ્રીવાસ્તવને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
દિલ્હીમાં 15 જૂને નવનીત રાણા દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર સુનાવણી થવાની છે. નવનીત રાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોલીસ લોક-અપમાં તેની સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું ન હતું. તેણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને કહ્યું હતું કે તેમને પાણી પણ આપવામાં આવ્યુ નહોતુ. તેના દલિત હોવા અંગે જાતિ આધારિત વાતો કહેવામાં આવી હતી. વોશરૂમમાં જવાની પણ છૂટ ન હતી.જે બાદ મામલો ગરમાયો હતો.
મુંબઈ પોલીસ કમિશ્નરે વીડિયો જાહેર કર્યો હતો
નવનીત રાણાના આ આરોપને ખોટા સાબિત કરવા માટે મુંબઈ (Mumbai)પોલીસ કમિશનર સંજય પાંડેએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો હતો. આ વીડિયોમાં નવનીત રાણાને પોલીસ સ્ટેશનમાં ચા પીતા બતાવવામાં આવ્યા છે. પરંતુ બાદમાં રાણા દંપતીએ જવાબમાં કહ્યું કે સંજય પાંડેએ ખાર પોલીસ સ્ટેશનનો વીડિયો જાહેર કર્યો છે. જ્યારે તેની સાથે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
સાંસદ નવનીત રાણાને જેલમાંથી છૂટ્યાના બીજા દિવસે પીઠના દુખાવાના કારણે લીલાવતી હોસ્પિટલમાં (Mumbai Lilavati Hospital) દાખલ કરવા પડ્યા હતા. હોસ્પિટલમાંથી મુક્ત થયા પછી, રાણા દંપતીએ આક્ષેપ કર્યો હતો કે જેલ સત્તાવાળાઓએ તેમને કમરમાં દુખાવો હોવાનું જાણ્યા હોવા છતાં તેમને જમીન પર બેસીને સૂવા માટે દબાણ કર્યું હતું. જેના કારણે તેમનો દર્દ વધુ વધી ગયો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. નવનીત રાણાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની વારંવારની અપીલ છતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં મુલતવી રાખવામાં આવી હતી.