Navneet Rana: મુંબઈ સેશન્સ કોર્ટે ધારાસભ્ય રવિ રાણા અને સાંસદ નવનીત રાણાને નોટિસ ફટકારી, જામીનને લઈને પુછ્યો સવાલ
મુંબઈ સેશન્સ કોર્ટે (Mumbai Sessions Court) ધારાસભ્ય રવિ રાણા અને સાંસદ નવનીત રાણાને (MP Navneet Rana) નોટિસ પાઠવીને પૂછ્યું છે કે શા માટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં ન આવે.
મુંબઈ સેશન્સ કોર્ટે (Mumbai Sessions Court) ધારાસભ્ય રવિ રાણા અને સાંસદ નવનીત રાણાને (Navneet Rana) કારણ જણાવો નોટિસ (Show Cause Notice) જાહેર કરીને પૂછ્યું છે કે શા માટે તેમના જામીન રદ ન કરવા જોઈએ. શા માટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી ન કરવું જોઈએ કારણ કે તેમણે કથિત રીતે તેમને આપવામાં આવેલી જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.
જામીન આપતી વખતે કોર્ટે તેમને મીડિયા સાથે વાત કરવાની મનાઈ ફરમાવી હતી. પરંતુ સરકારી વકીલ પ્રદીપ ઘરતે આજે કોર્ટમાં રાણા દંપતિના જામીન રદ કરવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે રાણા દંપતી સતત મીડિયા સાથે વાત કરી રહ્યા છે. આ અંગે આજે સુનાવણી બાદ કોર્ટે રાણા દંપતીને કારણદર્શક નોટિસ મોકલવાનો આદેશ કર્યો છે.
આ દરમિયાન રાણા દંપતી દિલ્લી પહોંચી ગયું છે. દિલ્લી પહોંચ્યા પછી, તેમણે અમારી સંલગ્ન ન્યૂઝ ચેનલ TV9 મરાઠી પરથી મુંબઈ સેશન્સ કોર્ટના આ નવા આદેશ પર પોતાનો પ્રતિભાવ આપ્યો. નવનીત રાણાએ કહ્યું, ‘જામીન આપતી વખતે કોર્ટે લાદેલી શરતો હેઠળ, તેમને કોર્ટની કાર્યવાહી અને કેસ સંબંધિત માહિતી મીડિયા સાથે શેર કરવાની મનાઈ કરવામાં આવી હતી. અમે આ મામલે મીડિયા સાથે વાત કરી નથી. આ રીતે અમે જામીનની શરતોનો ભંગ કર્યો નથી. અમે કોર્ટના આદેશનું સન્માન કરીશું અને કારણ બતાવો નોટિસનો જવાબ આપીશું.’રાણા દંપતી આજે સાંજે 5.30 વાગ્યે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરશે.
BMC પણ રાણા દંપતીને નોટિસ મોકલશે, ઘરમાં મળ્યું ગેરકાયદે બાંધકામ
આ દરમિયાન, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ટીમે પણ રાણા દંપતીનું મુંબઈના ખાર વિસ્તારમાં તેમના નિવાસસ્થાને નિરીક્ષણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, BMCને જાણવા મળ્યું છે કે રાણા દંપતીના ઘરમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. એટલે કે મંજૂર નકશાને બદલે અલગ બાંધકામ કરવામાં આવ્યું છે. તેથી, BMC હવે રાણા દંપતીના ઘરની અંદર ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ મોકલવા માટે તૈયાર છે.
શિવસેનાના નેતા પહોંચ્યા લીલાવતી હોસ્પિટલ, નવનીત રાણાની એમઆરઆઈ કરાવવાની તસવીર જાહેર થવા પર સવાલ
આ દરમિયાન શિવસેનાના નેતા અને BMCના પૂર્વ મેયર કિશોરી પેડનેકર અને શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદે આજે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલ મેનેજમેન્ટને પૂછ્યું કે MRI સમયે નવનીત રાણાની તસવીર કેવી રીતે વાયરલ થઈ? ઓપરેશન રૂમમાં ફોટોગ્રાફ્સ લેવાની પરવાનગી કોણે આપી?