મુંબઈને પહેલું જાહેર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિગ સ્ટેશન મળ્યું, એક યુનિટ માટે માત્ર 15 રૂપિયા ચૂકવવા પડશે
મુંબઈ શહેરને પહેલું જાહેર ઇલેક્ટ્રીકલ વ્હીકલ ચાર્જિગ સ્ટેશન મળ્યું છે. જેના માટે એક યુનિટના આપવા પડશે માત્ર 15 રૂપિયા. રાજ્યના પ્રધાન આદિત્ય ઠાકરેએ ઉદઘાટન કર્યું હતું.
Mumbai: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) દાદરમાં મુંબઈનું પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન (Electric Vehicle Charging Stations) સ્થાપ્યું છે. મંગળવારે મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) દાદરના કોહિનૂર બિલ્ડિંગના પાર્કિંગમાં EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. EV સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન, જે એક સમયે સાત ઇવી સુધી રિચાર્જ કરી શકે છે. મહત્વનું છે કે, રાજ્યમાં જાહેર પાર્કિંગ સ્થળોએ આવનાર આ પ્રકારની પ્રથમ સુવિધા છે.
BMC ના જણાવ્યા અનુસાર નવા લોન્ચ થયેલા EV ચાર્જિંગ સ્ટેશન વપરાશકર્તાઓ માટે ચોવીસ કલાક ખુલ્લા રહેશે. સ્ટેશન પર ઉપલબ્ધ સાત ચાર્જર પૈકી ચાર ફાસ્ટ ચાર્જર છે, જે લગભગ એકથી દોઢ કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણપણે ચાર્જ કરી શકે છે. અન્ય ત્રણ નિયમિત EV ચાર્જર છે જે લગભગ છ કલાકમાં ઇલેક્ટ્રિક કારને સંપૂર્ણપણે રિચાર્જ કરવામાં સક્ષમ છે. BMC વાહનો ચાર્જ કરવા માટે 15 રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ કરશે.
Inaugurated an EV enabled parking lot at Kohinoor building in Mumbai. This is very encouraging as we move in the direction of making Maharashtra Electric Vehicle friendly. pic.twitter.com/JuPJBAocsp
— Aaditya Thackeray (@AUThackeray) August 17, 2021
EV ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા પછી ઠાકરેએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણને બચાવવા માટે આ એક પગલું છે. તેમણે ટ્વિટ કર્યું કે, “મુંબઈના કોહિનૂર ભવનમાં EV પાર્કિંગનું ઉદ્ઘાટન કર્યું. આ ખૂબ જ પ્રોત્સાહક છે. કારણ કે, અમે મહારાષ્ટ્રને ઇલેક્ટ્રિક વાહનને અનુકૂળ બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. ”
આદિત્ય ઠાકરેએ એમ પણ લખ્યું હતું કે, “અમે લગભગ એક મહિના પહેલા અમારા રાજ્યની EV નીતિ જાહેર કરી હતી. તમામ મોરચેથી આવા પ્રયાસો જોઈને આનંદ થાય છે. સરકાર તરીકે આપણે આપણી ધરતી માટે સુધારણા માટે લીધેલા ઘણા પગલાઓમાંથી આ એક છે.”
આદિત્ય ઠાકરેએ BMCને તેના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ પાર્કિંગ સ્થળો પર ઇલેક્ટ્રિક વાહનો માટે વધુ ચાર્જિંગ સુવિધાઓ સ્થાપિત કરવા કહ્યું છે. કારણ કે “પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક વાહનો સમયની જરૂરિયાત છે”. તેમણે કહ્યું હતું કે, “ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારે હોય તેવા વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. આ અંગે વિગતવાર સર્વે થવો જોઈએ અને મહત્તમ પાર્કિંગ સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ કરાવવું જોઈએ.”
પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ વચ્ચે વાયુ પ્રદુષણને અટકાવવા માટે ઈલેકટ્રિક વાહનો ખુબ મહત્વનો ભાગ ભજવશે. ભારતમાં હજુ આ અંગે જાગૃતી આવી રહી છે . વધારે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવાથી આપણ આપણા વાતાવરણને બચાવી શકીએ છીએ.
આ પણ વાંચો: PGCIL Recruitment 2021 : ફિલ્ડ એન્જીનિયર પદ પર ભરતી, 27 ઑગષ્ટ સુધી કરી શકશો એપ્લાય