Maharashtra : ગૃહ પ્રધાન અમિત શાહે પૂણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં કરી પુજા, જાણો શાહનો આજનો કાર્યક્રમ
અહેમદનગર જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે, વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે જોડાયેલી કેટલીક ખાંડ મિલોને બેંક ગેરંટી આપવામાં આવી રહી નથી.
Maharashtra : મહારાષ્ટ્ર પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાનઅમિત શાહે (Amit Shah) પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર પહોંચ્યા હતા. અહીં અમિત શાહે ગણપતિની પૂજા અર્ચના કરી હતી. તમને જણાવી દઈએ કે, 19 ડિસેમ્બરના રોજ શાહ પુણેમાં નવી CFSL બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને NDRFના જવાનો સાથે વાતચીત કરશે. આ ઉપરાંત તેઓ વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોઓપરેટિવ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમાનો શિલાન્યાસ કરશે.
ભારત કોરોનામાંથી બહાર આવી રહ્યુ છે : શાહ
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર પ્રવાસના પહેલા દિવસે શનિવારે શાહે કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે સરકારની લડાઈમાં સામાન્ય લોકોને સામેલ કર્યા છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા દ્વારા આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં શાહે વધુમાં કહ્યું હતું કે ઘણા દેશોમાં જ્યારે રોગચાળાની પરિસ્થિતિમાં વધઘટ થઈ રહી છે, ત્યારે ભારત તેમાંથી સતત બહાર આવી રહ્યું છે.
વિરોધ પક્ષ પર કર્યા આકરા પ્રહાર
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, વિશ્વમાં દરેક વ્યક્તિએ ભારતની વસ્તી અને હાલના સ્વાસ્થ્ય માળખા પર ચિંતા વ્યક્ત કરી હતી, જોકે કોવિડ-19થી તુલનાત્મક રીતે દેશને ઓછું નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે કોવિડ-19માંથી બહાર આવતા ભારતનો આર્થિક વિકાસ આશાસ્પદ રહ્યો છે. અહેમદનગર જિલ્લામાં સહકારી ક્ષેત્ર સાથે સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરતા અમિત શાહે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે, વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે જોડાયેલી કેટલીક ખાંડ મિલોને બેંક ગેરંટી આપવામાં આવી રહી નથી.
ખાંડ મિલોનો મુદ્દો ઉઠાવ્યો
શાહે કહ્યું કે મેં જોયું છે કે કેટલીક રાજ્ય સરકારો એવી ખાંડ મિલોને બેંક ગેરંટી નથી આપી રહી જેનું સંચાલન રાજકીય રીતે વિરોધ પક્ષો સાથે જોડાયેલું છે. અમને નવી દિલ્હીમાં દબાણ કરવાને બદલે, સરકાર તેમની સુગર મિલના મુદ્દાઓને સંબંધિત રાજ્યમાં કેમ ઉકેલી શકતી નથી. આ સાથે શાહે મહા વિકાસ અઘાડી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો : ‘મુશ્કેલીમાં મલિક’ : સમીર વાનખેડેની બહેને નવાબ મલિક વિરુદ્ધ નોંધાવી ફોજદારી ફરિયાદ, માનહાનિ સહિતના લગાવ્યા ગંભીર આરોપ
આ પણ વાંચો : Maharashtra પહોંચ્યા અમિત શાહ, કહ્યું- ‘હું સહકારમાં કંઈ તોડવા નથી આવ્યો, પણ જોડવા આવ્યો છું’