Hanuman Chalisa Row: રાણા દંપતીની જામીન અરજી પર આજે આવી શકે છે ચુકાદો
જેલમાં બંધ અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની (Ravi Rana) જામીન અરજી પર કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.
Mumbai: જેલમાં બંધ અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની (Ravi Rana) જામીન અરજી પર કોર્ટ આજે નિર્ણય કરે તેવી શક્યતા છે. ગત સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જજ આર. એન. રોકડે એ સોમવાર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો. શુક્રવારે થયેલી દલીલ દરમિયાન બંને પક્ષના વકીલોએ લગભગ અઢી કલાક સુધી પોતાની દલીલો રજૂ કરી હતી. રાણા દંપતી ઉપર ધાર્મિક લાગણી ભડકાવવા અને દેશદ્રોહનો આરોપ છે.
બંને પક્ષોની દલીલો
કોર્ટમાં જામીનનો વિરોધ કરતા મુંબઈ પોલીસે કહ્યું કે નવનીત રાણા પર ગંભીર આરોપ છે. સરકારની દલીલ એવી છે કે રાણા દંપતી જેલમાંથી બહાર આવીને કેસને પ્રભાવિત કરી શકે છે. બીજી તરફ રાણા દંપતીના વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે રાણા દંપતી એક જવાબદાર નાગરિક છે અને તમામ શરતોનું પાલન કરશે. સુનાવણી દરમિયાન વકીલે લગાવવામાં આવેલા રાજદ્રોહના આરોપ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન વકીલે રાણા દંપતીની 8 વર્ષની પુત્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાણા દંપતીએ અરજીમાં જણાવ્યું હતું કે કલમ 153 (A) હેઠળનો આરોપ જાળવી શકાય નહીં કારણ કે અરજદારોનો મુખ્ય પ્રધાનના ખાનગી નિવાસસ્થાન પાસે હનુમાન ચાલીસાના પાઠ કરીને નફરત પેદા કરવાનો કોઈ ઈરાદો નહોતો.
વિવાદ કયા મુદ્દે થયો હતો
હકીકતમાં, આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નવનીત રાણાએ જાહેરાત કરી કે તેઓ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ જાહેરાત બાદ શિવસેનાના સેંકડો કાર્યકરોએ નવનીત રાણા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ અમરાવતી લોકસભા બેઠકના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ, બડનેરાના ધારાસભ્ય રવિ રાણાએ 23 એપ્રિલે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો તેમનો પ્લાન રદ કર્યો હતો. પરંતુ પોલીસે તે બન્નેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. હાલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે.