Maharashtra: મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરની મળી ભાળ, આ શહેરમાં છુપાયેલા છે પરમબીર સિંહ
મુંબઈ પોલીસ પ્રમુખ પદ પરથી હટાવ્યા બાદ પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તત્કાલિન રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (ParamBir Singh) લાંબા સમય બાદ પોતાનું મૌન તોડ્યું છે. પરમબીર સિંહે પોતે ચંદીગઢમાં (Chandigarh) હોવાનું જણાવ્યું છે. પરમબીર સિંહે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં મુંબઈમાં તેમની સામેના કેસોની તપાસમાં જોડાશે. પરમબીર સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી છે. જણાવી દઈએ કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં પરમબીર સિંહની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે તેઓ ચંદીગઢમાં છે અને ટૂંક સમયમાં મુંબઈમાં તેમની સામેના કેસની તપાસમાં જોડાશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે હાલમાં જ તેમને સુરક્ષાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન તેમનું ઠેકાણું જણાવવા કહ્યું હતું. જે બાદ હવે પરમબીર સિંહે પોતાનું લોકેશન જણાવ્યું છે.
પરમબીર સિંહ વિરુદ્ધ પાંચ કેસ નોંધાયા છે
પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં પાંચ કેસ નોંધાયેલા છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કથિત બળજબરીથી વસુલીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. આને મંજૂર કરતાં કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે તેઓ દેશમાં છે. તેમના વકીલે કહ્યું હતું કે તેઓ ફરાર થવા માંગતા નથી. તેઓ ભાગવા માંગતા નથી. જો કે મુદ્દો એ છે કે તેમના મહારાષ્ટ્રમાં પ્રવેશતાની સાથે જ તેમનો જીવ જોખમમાં આવી જશે.
મેજિસ્ટ્રેટ કોર્ટે જાહેર કર્યા હતા ‘જાહેર ગુનેગાર’
ગયા અઠવાડિયે મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે પરમબીર સિંહને ‘જાહેર ગુનેગાર’ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસ પ્રમુખ પદ પરથી હટાવ્યા બાદ પરમબીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં તત્કાલિન રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.