“મહારાષ્ટ્ર પોલીસે હીરોઈન નહીં હેરોઈન પકડી એટલા માટે નથી થઈ રહી કોઈ ચર્ચા”, CM ઠાકરેએ ડ્રગ્સના કેસોમાં કાર્યવાહી પર NCB પર સાધ્યું નિશાન
સીએમ ઠાકરેએ કહ્યું કે ડ્રગના પ્રકોપને રોકવા માટે તેમને મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પર ગર્વ છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ડ્રગ સ્મગલિંગની લહેર છે તેવી છાપ ઉભી કરવામાં આવી રહી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) મહારાષ્ટ્રમાં ડ્રગ્સ અંગે ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) NCB પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર પોલીસની (Maharashtra Police) છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઠાકરે નાગપુરમાં પ્રથમ ડીએનએ પરીક્ષણ લેબના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ડ્રગ્સની દાણચોરીની લહેર છે તેવી છાપ ઊભી કરવામાં આવી રહી છે. જાણે મહારાષ્ટ્રમાં વિશ્વભરમાંથી ડ્રગ્સ તૈયાર કરવામાં આવે છે અને માત્ર આ વિશેષ ટીમ જ આ રેકેટને નિષ્ફળ બનાવી શકે છે.
હીરોઈન સામેલ ન હતી એટલે કોઈએ ચર્ચા કરી નહીં
ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે ડ્રગના પ્રકોપને કાબૂમાં લેવાના પ્રયાસો માટે તેમને મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ પર ગર્વ છે. ઠાકરેએ વધુમાં કહ્યું કે થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે 25 કરોડનું હેરોઈન પકડ્યું હતું, પરંતુ તેમાં કોઈ હીરોઈન સામેલ ન હતી, તેથી કોઈએ તેના વિશે ચર્ચા પણ કરી ન હતી. તે પોલીસકર્મીઓના નામ પણ કોઈ જાણતું નથી. આપણે તેમનો આદર કરવો જોઈએ.
મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર ખંડણીનો આરોપ લગાવ્યો
આ પહેલાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલા NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર ખંડણીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે વાનખેડેએ બોલીવૂડ પાસેથી દુબઈ અને માલદીવમાં વસુલી કરી છે. સમીર વાનખેડેએ (Sameer Wankhede) આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તે ક્યારેય દુબઈ ગયા નથી. તેણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે તે તેમની બહેન સાથે ક્યારેય દુબઈ ગયા નથી.
નવાબ મલિકે જે તારીખનો ઉલ્લેખ કર્યો છે, તે સંપૂર્ણપણે ખોટી છે. એનસીબીના અધિકારીએ કેબિનેટ મંત્રી નવાબ મલિકના આરોપોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.
ઉલ્લેખનીય છે, 3 ઓક્ટોબરે જ્યારથી મુંબઈ ક્રુઝ ડ્રગ કેસમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું છે. આરોપો અને પ્રત્યારોપો એ જોર પકડ્યું છે. મહારાષ્ટ્રએ એનસીબી ઓફીસર સમીર વાનખેડે અને તેમની ટીમની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તો સામે એનસીબી પણ તમામ આરોપોને ભારપુર્વક નકારી રહી છે.
આ પણ વાંચો : “મલિક પાસે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા હશે”, NCP નેતા નવાબ મલિકનો જયંત પાટીલે આપ્યો સાથ