Maharashtra: અઠવાડીયામાં બીજી વખત બોમ્બે હાઈકોર્ટે આપ્યો ઠપકો, રસ્તા પરના ખાડાઓને લઈને કોર્ટે લગાવી ફટકાર
બોમ્બે હાઈકોર્ટે કહ્યું, શું તમે મુંબઈ-નાસિક એક્સપ્રેસ-વેની હાલત જોઈ છે ? ખાડાઓના કારણે લોકોની દરરોજ બે કલાક બગડે છે. કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તેથી, અમે તેના વિશે કંઈક કરીએ તે પહેલાં, તમે યોગ્ય પગલાં લો.
બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ફરી એક વખત ખરાબ રસ્તાઓ માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારને ઠપકો આપ્યો છે. હાઇકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને પણ સવાલ કર્યા છે. મુંબઈ-નાસિક (Mumbai-Nasik Highway) હાઈવે પરના ખાડાઓ તરફ ધ્યાન દોરતા, બોમ્બે હાઈકોર્ટે સરકારને તેની મરામતને ગંભીરતાથી લેવા કહ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે અમે કંઈ પણ કરીએ તે પહેલા તમારે યોગ્ય પગલાં લેવા જોઈએ.
થોડા દિવસો પહેલા એટલે કે સોમવારે પણ બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે મુંબઈ-ગોવા હાઈવેને (Mumbai Goa Highway) ચાર લેન કરવા માટે આટલા વર્ષો કેમ લાગી રહ્યા છે. દસ વર્ષથી ચાલતું આ કામ હજુ પૂરું થયું નથી. આ અંગે વાંધો ઉઠાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી આ કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અન્ય કોઇ પ્રોજેક્ટ શરૂ ન થવો જોઇએ. એકવાર આવી જ વાત હાઈકોર્ટે મુંબઈ-નાસિક હાઈવેના સંદર્ભમાં પણ કહી છે.
બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું ?
આ મામલે પોતે હસ્તક્ષેપ કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, શું તમે મુંબઈ-નાસિક એક્સપ્રેસ વેની હાલત જોઈ છે? આ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય છે. ખાડાઓના કારણે ટ્રાફિક જામ થાય છે. જેના કારણે દરરોજ લોકોના બે કલાક વેડફાય છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાડાઓના કારણે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. તેથી અમે આ વિશે કંઇક કરીએ તે પહેલાં, તમારે યોગ્ય પગલાં લેવા જોઈએ. આ શબ્દોમાં મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણીએ શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો.
1996 થી ઠપકો મળી રહ્યો છે, છતાં સરકાર સુધરતી નથી
જસ્ટિસ આર.એમ. લોઢાએ 1996 માં, રસ્તાઓ પરના ખાડાઓની સમસ્યા પર હસ્તક્ષેપ કર્યો અને રાજ્ય સરકાર અને તેનાથી સંબંધિત અન્ય સંસ્થાઓને સુધારો લાવવા માટે આદેશો આપ્યા. અત્યારે 2021 નું વર્ષ ચાલી રહ્યું છે, પરંતુ પરિસ્થિતિ યથાવત છે. ખાડાઓ ભરવા માટે ઉચ્ચ ટેકનીકની મદદ કેમ લેવામાં આવતી નથી? કોર્ટે આ પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.
જો હાઇકોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ દ્વારા સૂચવેલ તકનીકોનો ઉપયોગ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા રસ્તાઓ અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ સારી રહેશે અને જનતાને વધુ સારા રસ્તા મળી શકશે. હાઈકોર્ટના આદેશ બાદ સરકારનું સ્ટેન્ડ કેટલું બદલાય છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: ડોક્ટર પર બળાત્કાર કરી વીડિયો શૂટ કર્યો, બાદમાં યુવતીના માતા-પિતાને મોકલ્યો અને 10 લાખની ખંડણીની કરી માંગ