Bombay Highcourt: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નામાંકન વિવાદ, બોમ્બે હાઈકોર્ટે રાજ્યપાલને કરી ટકોર
હાઈકોર્ટે જણાવ્યું હતુ કે રાજ્યપાલ નિયત સમયમાં રાજ્ય સરકારના પ્રસ્તાવને સ્વીકારી અથવા નકારી શકે છે. દરખાસ્તને મંજૂર કરવી કે નકારવી તે રાજ્યપાલની બંધારણીય જવાબદારી (Constitutional responsibility) છે.
Bombay Highcourt: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં 12 લોકોને નામાંકિત કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે રાજ્યપાલને (Governor) આ અંગે ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે વિધાન પરિષદમાં 12 લોકોને નામાંકિત કરવામાં આવ્યા છે, જેમાં ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રસ્તાવના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ (Bhagat Singh Koshyari) હજુ સુધી મંજૂરી આપી નથી.
હાઈકોર્ટે જણાવ્યું હતુ કે રાજ્યપાલ નિયત સમયમાં રાજ્ય સરકારના પ્રસ્તાવને સ્વીકારી અથવા નકારી શકે છે. દરખાસ્તને મંજૂર કરવી કે નકારવી તે રાજ્યપાલની બંધારણીય જવાબદારી (Constitutional responsibility) છે.
બોમ્બે હાઈકોર્ટે રાજ્યપાલને કરી ટકોર
ઉલ્લેખનીય છે કે ઠાકરે સરકારે કેબિનેટે મંજૂરી (Cabinet) માટે 12 લોકોને વિધાન પરિષદમાં નામાંકિત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ.કુલકર્ણીની ખંડપીઠે જણાવ્યું હતુ કે,”રાજ્યપાલની ફરજ છે કે તેઓ દરખાસ્ત અંગે પોતાનો અભિપ્રાય યોગ્ય સમયે મુખ્યપ્રધાન સુધી પહોંચાડે.”
રાજ્યપાલ 15 દિવસમાં આ દરખાસ્ત અંગે નિર્ણય કરશે તેવી અપેક્ષા
આ સાથે કોર્ટે નાસિકના રહેવાસી રતન સોલીની અરજી (Petition) પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે રાજ્યપાલે નવેમ્બર 2020 સુધીમાં ઠાકરે સરકાર દ્વારા મોકલવામાં આવેલા 12 નામોને વિધાન પરિષદના સભ્યો તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપવો જોઈએ. રાજ્ય સરકારને અપેક્ષા હતી કે રાજ્યપાલ 15 દિવસમાં આ દરખાસ્તને મંજૂર કરશે.
રાજ્યપાલે નિયત સમયમાં જવાબદારી પુર્ણ કરવી જોઈએ
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આ મામલે આઠ મહિના વીતી ગયા છે. તેથી રાજ્યપાલ વિલંબ કર્યા વગર આ બાબતે પોતાની બંધારણીય જવાબદારી નિભાવે તે મહત્વનું છે. ઉપરાંત કોર્ટે (Bombay Highcourt) જણાવ્યું કે એ સાચું છે કે રાજ્યપાલ કોર્ટને જવાબદાર નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ તમે તમારી બંધારણીય જવાબદારી નિયત સમયમાં પુર્ણ કરશો.
આપને જણાવી દઈએ કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી 12 MLCની (Member of Legislative Council) નિમણૂકમાં કરવામાં આવેલ વિલંબ માટે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારના નિશાન પર છે. ઉપરાંત આ વર્ષની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે કોશ્યારી પર પ્રહાર કર્યા હતા અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકારે આ મામલે કોર્ટમાં જવું પડશે નહીં.
આ પણ વાંચો: RBI એ આ બેંકનું લાયસન્સ રદ કર્યું, જાણો ખાતાધારકોના પૈસાનું શું થશે?