અનિલ દેશમુખને મોટી રાહત, જામીન વિરૂદ્ધ EDની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચે બોમ્બે હાઈકોર્ટના 4 ઓક્ટોબરના નિર્ણયને યથાવત રાખતા ઈડી દ્વારા દાખલ અરજીને રદ કરી દીધી. હાઈકોર્ટે દેશમુખને પીએમએલએ કેસમાં જામીન આપ્યા હતા.
મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને (Anil Deshmukh) સુપ્રીમ કોર્ટે (Supreme Court) મોટી રાહત આપી છે. કોર્ટે ઈડીની અરજી પર દખલગીરી કરવાથી ઈનકાર કરી દીધો છે અને તેમને હાઈકોર્ટ તરફથી મળેલી રાહતને યથાવત રાખી છે. ઈડીએ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે ઈડીને દેશમુખની જામીન અરજી વિરૂદ્ધ 13 ઓક્ટોબર અથવા ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જવાની પરવાનગી આપી હતી. અનિલ દેશમુખ હાલમાં આર્થર રોડ જેલમાં જ ન્યાયિક કસ્ટડીમાં રહેશે. ભ્રષ્ટાચારના આરોપમાં સીબીઆઈ પણ તેમની વિરૂદ્ધ તપાસ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચે બોમ્બે હાઈકોર્ટના 4 ઓક્ટોબરના નિર્ણયને યથાવત રાખતા ઈડી દ્વારા દાખલ અરજીને રદ કરી દીધી. હાઈકોર્ટે દેશમુખને પીએમએલએ કેસમાં જામીન આપ્યા હતા. લગભગ 1.30 કલાકની સુનાવણી બાદ બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાથી ઈનકાર કરી દીધો. એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મહા વિકાસ અઘાડી સરકારમાં ગૃહ મંત્રી રહેલા અનિલ દેશમુખ મની લોન્ડ્રિંગના આરોપમાં 2 નવેમ્બર 2021થી કસ્ટડીમાં છે અને મુંબઈના આર્થર રોડ જેલમાં બંધ છે.
અનિલ દેશમુખની વિરૂદ્ધ ઈડી પણ કરી રહી છે તપાસ
ઈડીએ તેમને ગૃહપ્રધાન તરીકે પોતાના પદનો ખોટો ઉપયોગ કરવા અને ઘણા પોલીસ અધિકારીઓના માધ્યમથી મુંબઈના અલગ અલગ બારોમાંથી કરોડો રૂપિયા એકત્ર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. હાઈકોર્ટે 4 ઓક્ટોબરે તેમની જામીનનો આદેશ આપ્યો હતો પણ ઈડીની વિનંતી બાદ 12 ઓક્ટોબર સુધી આદેશને સ્થગિત રાખવામાં આવ્યો હતો. હાઈકોર્ટના સિંગલ જજ જસ્ટિસ એનજે જમાદારની બેન્ચે જણાવ્યું હતું કે ED દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં “તેમને આખરે દોષિત ઠેરવી શકાય નહીં”.
સારવાર માટે હોસ્પિટલમાં જવાની પરવાનગી
હાઈકોર્ટે સચિન વાઝે અને પરમબીર સિંહના નિવેદનો વિરોધાભાસી હોવાનું પણ જણાવ્યું હતું. અગાઉ મંગળવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટે અનિલ દેશમુખને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ હૃદયની બીમારીની સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં જવાની મંજૂરી આપી હતી. આર્થર રોડ જેલ સત્તાવાળાઓએ દેશમુખની બિમારીઓ સંબંધિત મેડિકલ રિપોર્ટ અંગે ઈ-મેઈલથી મોકલ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.