Valsad : તંત્રની બેદરકારીને કારણે નવો બ્રિજ બન્યો માથાનો દુ:ખાવો, ટ્રાન્સપોર્ટરોએ વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ
નવા બ્રિજ બનાવવાને પગલે માત્ર કબ્રસ્તાન રોડ પર નાના વાહનો જાય તે પ્રકારનું ફાટક બનાવવામાં આવ્યું છે. જેથી ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઇ રહી છે.
વલસાડના વાપીમાં તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકો અને સ્થાનિકોની મુશ્કેલી વધી છે. વાપીમાં મહત્વના ગણાતા ઓવરબ્રિજ તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવાની છે. 24 કલાક વાહનોથી ધમધમતા બ્રિજ તોડવા સામે તંત્રએ કોઈ યોગ્ય ડ્રાઇવર્ઝન આપ્યો નથી. માત્ર કબ્રસ્તાન રોડ પર નાના વાહનો જાય તે પ્રકારનું ફાટક બનાવવામાં આવ્યું છે. જેથી ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઇ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે ભારે ટ્રાફિકના કારણે તેમને નોકરી જવામાં પણ મોડું થઇ જાય છે.
ટ્રાન્સપોર્ટરોને પડી રહ્યું છે આર્થિક ભારણ
એટલું જ નહીં ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે. તો બીજી તરફ ટ્રાન્સપોર્ટરોને પણ આર્થિક ભારણ પડી રહ્યું છે. ટ્રાન્સપોર્ટરોની માગ છે કે સરકાર અને તંત્ર ટ્રાફિક સમસ્યા ઓછી જાય તે માટે કંઇક વૈકલ્પિક વ્યવસ્થા કરે.તો બીજી તરફ વલસાડના વાંસદા તાલુકામાં ઠેર-ઠેર ખાડાથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકોને સમય, શક્તિ અને ઈંધણ નો ખર્ચ વધી જતાં મુશ્કેલી વધી રહી છે. માર્ગ મકાન વિભાગની આવી ઢીલી કામગીરી સામે સામાન્ય જનતામાં ભારે કચવાટ ઉઠી રહ્યો છે.