Railway News: આવતીકાલે 1 દિવસ માટે અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે
12 માર્ચ 2023 ના રોજ ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
પશ્ચિમ રેલવેના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનના વિરમગામ-વાણી રોડ સ્ટેશનો વચ્ચે રેલવે ક્રોસિંગ ફાટક નંબર 01 કિમી 563-08/09 રોડ ઓવરબ્રિજ પર સ્ટીલ ગર્ડર લોંચ કરવા માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
• 12 માર્ચ 2023 ના રોજ ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
આ ટ્રેન બંધ રહેતા સોમનાથ જતા યાત્રાળુઓને એક દિવસ માટે તકલીફ પડી શકે છે.
રેલ્વેના અન્ય સમાચાર આ પ્રમાણે છે
અમદાવાદ -મહેસાણા ગેજ પરિવર્તન લાઇનનો પ્રારંભ, અતિ વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ પર માલવાહક ક્ષમતામાં વૃદ્ધિ થશે
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ -મહેસાણા ગેજ પરિવર્તન લાઇનના સંપૂર્ણ ખંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા ગેજ પરિવર્તન ખંડ દ્વારા હાલની સિંગલ બ્રોડગેજ લાઇન માટે વધારાની લાઇનની સુવિધા ફાળવાઈ છે. પરિણામે અમદાવાદ અને મહેસાણા વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો થશે અને અતિ વ્યસ્ત અમદાવાદ-દિલ્હી રૂટ પર માલવાહક ક્ષમતામાં વૃદ્ધિ થશે.
પશ્ચિમ રેલવેગુજરાતમાં રેલવેના માળખાકીય વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહેલા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધાઓમાં વધારો કરવા સાથે નવી લાઈનો, ગેજ પરિવર્તન, ઈલેક્ટ્રિફિકેશન, ડબલીંગ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ દિશામાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ ડિવિઝન પર જગુદણ-મહેસાણા વચ્ચે ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ કર્યું છે અને ટ્રાફિક માટે એક નવી ડબલ લાઇન ખુલ્લી મુકવામાં આવી છે.
ગત વર્ષે પ્રધાનમંત્રીએ આ ખંડનો સાબરમતી-જગુદાન વિભાગ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. જગુદણ-મહેસાણા ખંડના ડબલિંગનું કામ પૂર્ણ થતાં સંપૂર્ણ અમદાવાદ-મહેસાણા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે તેને શરુ કરી દેવામાં આવ્યો છે.
જબલપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ
જબલપુર ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસનો રૂટ ડાયવર્ટ કરવો પડશે. પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
15 માર્ચ 2023ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ કટની મુડવારા-ચૌપન-ગઢવા રોડને બદલે ડાયવર્ટ માર્ગ વાયા કટની મુડવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડના માર્ગે દોડશે. • 18 માર્ચ 2023ના રોજ કોલકાતાથી ઉપડતી ટ્રેન નંબર 19414 કોલકાતા-અમદાવાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટને બદલે ગઢવા રોડ-ચૌપન-કટની મુડવારાને બદલે ડાયવર્ટ માર્ગ વાયા ગઢવા રોડ-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જં.-પ્રયાગરાજ છિવકી-કટની મુડવારાના માર્ગે દોડશે.