Vaccination Card in Nepal: યુરોપની જેમ નેપાળમાં પણ ‘વેક્સિનેશન કાર્ડ’ થઇ શકે છે ફરજિયાત, શું થશે ફાયદો અને હવે કયા દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે?
નેપાળની COVID-19 ટાસ્ક ફોર્સે જાહેર સ્થળોએ રસીકરણ કાર્ડ ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. આ સાથે સરકારને કડક નિયંત્રણો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે.
નેપાળની (Nepal) કોરોના ટાસ્ક ફોર્સે કોરોના વાઈરસના સંક્ર્મણને દૂર કરવા માટે રવિવારે મેળાવડા પર પ્રતિબંધ, શાળાઓ બંધ કરવા અને જાહેર સ્થળોએ રસીકરણ કાર્ડ ફરજિયાત બનાવવા જેવી ભલામણો કરી છે. રસીકરણ કાર્ડને વેક્સીન પાસપોર્ટ (Covid Passport) અથવા કોવિડ પાસ પણ કહેવામાં આવે છે.
જે એ વાતનો પુરાવો છે કે સંબંધિત વ્યક્તિએ તેનું રસીકરણ કરાવ્યું છે. હાલમાં તેનો ઉપયોગ બ્રિટન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, યુએસ અને ચીનમાં થઈ રહ્યો છે. જો કે અન્ય દેશોમાં પણ પુરાવા તરીકે કોવિડ સર્ટિફિકેટ (Covid Certificate) આપવામાં આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના જાહેર સ્થળોએ તેને બતાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.
જો વેક્સિનેશન પાસ લાગુ કરવામાં આવશે તો લોકોને તે બતાવીને જાહેર સ્થળોએ પ્રવેશવાની છૂટ આપવામાં આવશે. આ સંક્ર્મણને ફેલાતા અટકાવી શકે છે. નેપાળના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રવિવારે નેપાળમાં કોવિડના 1,167 નવા કેસ નોંધાયા હતા અને 224 લોકો સાજા થયા હતા.
જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. નેપાળમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 9,30,004 થઈ ગયા છે. દેશમાં હાલમાં 6,848 દર્દીઓની સારવાર ચાલી રહી છે. નેપાળમાં આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 11,604 દર્દીઓના મોત થયા છે.
ઓમિક્રોન વેરિઅન્ટના 27 કેસ મળી આવ્યા
આરોગ્ય મંત્રાલયે ઓમિક્રોન વેરિઅન્ટના 27 કેસની પુષ્ટિ કરી છે. દેશમાં મહામારીની પરિસ્થિતિનો સામનો કરવા માટે રચાયેલ સરકારી સંસ્થા, COVID ક્રાઈસિસ મેનેજમેન્ટ કોઓર્ડિનેશન સેન્ટર (CCMCC) એ રવિવારે 25 થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ સહિત અનેક ભલામણો કરી હતી.
સીસીએમસીસીએ સરકારને 29 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાની ભલામણ પણ કરી છે. કાઠમંડુમાં રવિવારે 12થી 17 વર્ષની વયજૂથના બાળકો માટે રસીકરણ ઝુંબેશ શરૂ થતાં તેણે વિદ્યાર્થીઓને રસી લેવા વિનંતી કરી હતી.
કાર્ડ બતાવવાની ક્યાં જરૂર પડશે?
તેણે ગૃહ મંત્રાલયને 17 જાન્યુઆરીથી જાહેર સેવાઓનો લાભ લેવા લોકો માટે રસીકરણ કાર્ડ ફરજિયાત બનાવવા જણાવ્યું હતું. ભલામણોમાં કહેવામાં આવ્યું છે કે “લોકોએ જાહેર સ્થળો જેમ કે ઓફિસો, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, સ્ટેડિયમ, એરપોર્ટ અને પાર્કમાં પ્રવેશવા માટે તેમનું રસીકરણ કાર્ડ રજૂ કરવું પડશે.”
ટાસ્ક ફોર્સે રાજકીય પક્ષોને મોટા મેળાવડાઓનું આયોજન કરવાથી દૂર રહેવા વિનંતી કરી છે. ટાસ્ક ફોર્સની તમામ ભલામણો સંબંધિત મંત્રાલયોની મંજૂરી પછી જ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો : Kazakhstan Violence: હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 164 લોકોના મોત, 5,800 લોકોની અટકાયત
આ પણ વાંચો : જાણીતા અમેરિકન કોમેડિયનનું શંકાસ્પદ સંજોગોમાં થયું મોત, હોટલના રૂમમાંથી મળી લાશ