રાષ્ટ્રીય હિતમાં કેટલાક મુદ્દાઓને સાર્વજનિક ન કરવા જોઈએ, SC સામે રિજિજુ ફરી થયા ગુસ્સે
સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા એક મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્ર વકીલ સૌરભ ક્રિપાલની નિમણૂક નથી કરી રહ્યું કારણ કે તે ટ્રાન્સજેન્ડર છે અને વિદેશી નાગરિક સાથે તેના સમલિંગી સંબંધો છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ન્યાયાધીશોની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા કથિત રીતે જાહેર કરવામાં આવેલા કેટલાક સત્તાવાર અહેવાલો પર ટિપ્પણી કરી છે. તેમણે “સંવેદનશીલ, ગુપ્ત રિપોર્ટ” સાર્વજનિક કરવાના સુપ્રીમ કોર્ટ કોલેજિયમના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના આ પગલા સામે કેન્દ્રને કેમ વાંધો છે તો કાયદા પ્રધાને કહ્યું કે પારદર્શિતાના ધોરણો અલગ છે.
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા કાયદા મંત્રીએ કહ્યું કે કેટલાક એવા કિસ્સાઓ છે જે રાષ્ટ્રીય હિતમાં જાહેર ન કરવા જોઈએ અને કેટલાક એવા કિસ્સાઓ છે કે જેને જાહેર હિતમાં છુપાવવા જોઈએ નહીં. સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે જજોની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા ખુલાસાથી કેન્દ્રની સમસ્યા વધી ગઈ છે.
સુપ્રીમ કોર્ટના ખુલાસાથી સરકારની ચિંતા વધી
મહત્વનું છે કે વાંધાઓ જાહેર ન કરવા અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેમાં નિમણૂકોની તપાસ કરતી ગુપ્તચર એજન્સીઓની ગુપ્તતા જાળવવાની પ્રથા રહી છે. આ ખુલાસાથી સરકારમાં ભારે ચિંતા ઉભી થઈ છે, જેને લાગે છે કે તે જાહેર ન થવી જોઈતી હતી અને ગોપનીય બાબતનો જાહેરમાં ઉપયોગ થવો જોઈએ નહીં.
જો કે, કાયદા પ્રધાને સુપ્રીમ કોર્ટના ઘટસ્ફોટ પર ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર એડવોકેટ સૌરભ ક્રિપાલને વિદેશી નાગરિક સાથેના સમલિંગી સંબંધોને કારણે દિલ્હી હાઈકોર્ટમાં નિયુક્ત કરી રહી નથી. તેમણે કહ્યું, મારે જ્યારે પણ બોલવું પડશે ત્યારે હું કાયદા મંત્રી તરીકે બોલીશ. અમે અમારા આદરણીય વડાપ્રધાનની વિચારસરણી અને માર્ગદર્શિકા અનુસાર કામ કરીએ છીએ, પરંતુ હું આ બધું અહીં કહી શકતો નથી.
સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ખોટો સંદેશ ગયો
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા પર ચર્ચા કરી શકતા નથી, કારણ કે તે એક સંવેદનશીલ મુદ્દો છે, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર વિચારીને નિર્ણયો લે છે અને નીતિનું પાલન કરે છે, ન તો સરકારની બાજુથી અને ન તો ન્યાયતંત્રની બાજુથી, આવી બાબતોને જાહેર ડોમેનમાં રાખવી જોઈએ,ન્યાયતંત્ર પરના હુમલાના આરોપો વિશે પૂછવામાં આવતા રિજિજુએ કહ્યું કે તેણે ક્યારેય તેની સત્તાને ઓછી કરવાનો અથવા બદનામ કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ લોકોને ખોટો સંદેશા મોકલી રહી હોવાને કારણે જવાબ આપવા માટે મજબૂર થયા છે.